હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

મહિલા રક્ષકોએ ઓપરેશન દરમિયાન દરેક મોરચે હિંમત બતાવી: BSF

12:50 PM May 31, 2025 IST | revoi editor
Advertisement

ગાંધીનગરઃ ગુજરાત ફ્રન્ટિયર, મુખ્યાલય, ગાંધીનગર ખાતે આજે ઇન્સ્પેક્ટર જનરલ દ્વારા પત્રકાર પરિષદનું અને વિવિધ શસ્ત્રોના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને ગુજરાત ફ્રન્ટિયરના ભૂપ્રદેશ અને મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓ વિશે માહિતી આપતાં ગુજરાત ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ અભિષેક પાઠકે જણાવ્યું હતું કે, બોર્ડર સિક્યુરિટી ફોર્સ ભારત-પાકિસ્તાન અને ભારત-બાંગ્લાદેશ સરહદનું રક્ષણ કરે છે. જમ્મુ-કાશ્મીરના બરફીલા શિખરોથી લઈને ભારત-પાકિસ્તાન સરહદ પર ગુજરાતના સર ક્રીક સુધી, બોર્ડર સિક્યુરિટી ફોર્સ દરેક ક્ષણે માતૃભૂમિની રક્ષા માટે સમર્પિત છે.

Advertisement

ગુજરાત ફ્રન્ટિયર આ બોર્ડર સિક્યુરિટી ફોર્સનો એક મહત્વપૂર્ણ ભાગ છે જે રાજસ્થાનના બાડમેર જિલ્લાથી લઈને સમગ્ર ગુજરાત રાજ્યમાં સર ક્રીક સુધીની ભારતની પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. ગુજરાત ફ્રન્ટિયરનો જવાબદારીનો વિસ્તાર ખૂબ જ મુશ્કેલ અને પડકારોથી ભરેલો છે. જો આપણે બાડમેરની વાત કરીએ, તો ત્યાં તપતું રણ, ઊંચા રેતીના ટેકરાઓ છે, જ્યાં ઉનાળામાં તાપમાન 50 ડિગ્રી સુધી જાય છે. આવા પ્રતિકૂળ હવામાન, જ્યાં છાંયડા માટે કંઈ ઉપલબ્ધ નથી, આપણા સૈનિકો હવામાનને ધ્યાનમાં લીધા વિના દિવસ-રાત દેશની સરહદનું રક્ષણ કરી રહ્યા છે.

ગુજરાત રાજ્યની ભારત-પાકિસ્તાન સરહદ પણ એક અનોખું ભૌગોલિક ચિત્ર રજૂ કરે છે. અહીં ક્યાંક રણ છે કયાંક ખારોપાટ, બંને એવા વિસ્તારો છે, જ્યાં કળણવાળી જમીન, ખારાશ અને આબોહવા ગરમ અને ભેજવાળી રહે છે. અવરજવરના માર્ગો ખૂબ જ મર્યાદિત છે. સૈનિકોને કળણવાળી જમીન પર પગપાળા પેટ્રોલિંગ અથવા અન્ય કોઈપણ પ્રવૃત્તિ કરવી પડે છે. વધુમાં તેમણે 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં થયેલા નિર્મમ હત્યાકાંડની નિંદા કરી અને કહ્યું કે આ આતંકવાદી હુમલાએ આખા દેશને હચમચાવી નાખ્યો અને ભારતને જરૂરી કાર્યવાહી કરવાની ફરજ પાડી હતી.

Advertisement

તેમણે માહિતી આપતા જણાવ્યું કે, ગુપ્તચર શાખાને પાકિસ્તાન સેનાની હલચલની માહિતીની સાથે જ પાકિસ્તાને ગુજરાતને અડીને આવેલી સરહદ પર ટેન્ક અને તોપખાના ગોઠવી દીધા હોવાની માહિતી મળી હતી. ગુજરાત ફ્રન્ટિયરે દુશ્મનને યોગ્ય જવાબ આપવા માટે તૈયારી શરૂ કરી દીધી અને તમામ સરહદી ચોકીઓ પર ઉચ્ચ કેલિબરના શસ્ત્રો અને સર્વેલન્સ સાધનો તૈનાત કર્યા હતા. સરહદ પર મહત્તમ સૈનિકો અને અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. આ પડકારજનક સમયમાં, BSFના ડિરેક્ટર જનરલે સૌથી મુશ્કેલ ખાડી વિસ્તારની મુલાકાત લીધી અને ત્યાં હાજર દળના કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે, અન્ય અધિકારીઓ પણ સૈનિકોનું મનોબળ વધારવા માટે સરહદી ચોકીઓની મુલાકાત લેતા રહ્યા છે.

આઈ.જી.એ 7 મે 2025ના રોજ ભારતીય દળો દ્વારા પાકિસ્તાનમાં ઘૂસીને અને ઓપરેશન સિંદૂર દરમિયાન આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવેલી સ્ટ્રાઈક વિશે માહિતી આપી હતી. જોકે, આ હુમલો પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓ કે નાગરિકો પર કરવામાં આવ્યો ન હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. ભારતીય દળો દ્વારા કરવામાં આવેલી સ્ટ્રાઈક પછી, પાકિસ્તાને 8 મે 2025ની રાતથી ડ્રોન અને મિસાઈલથી હુમલો કરવાનું શરૂ કરવાથી ઓપરેશન સિંદૂરથી લઈને યુદ્ધવિરામ સુધીમાં પાકિસ્તાને બાડમેરથી ગુજરાત ફ્રન્ટિયર વિસ્તારમાં 600થી વધુ ડ્રોનથી હુમલા કર્યા હોવાનું અને સાથે જ BSF એ ભારતીય સેના અને વાયુસેનાની મદદથી તેમને નિષ્ફળ બનાવ્યા હોવાની વિગત આપી હતી. સરહદ સુરક્ષા દળનો કોઈપણ સૈનિક કોઈપણ ફરિયાદ કે ભય વિના પોતાની સ્થિતિ પર હાજર રહ્યો અને પાકિસ્તાની ડ્રોન અને મિસાઈલ આપણા કોઈપણ સૈનિકો કે સરહદ પર રહેતા નાગરિકોને સ્પર્શી શક્યા નહીં હોવાની તેમણે ખાતરી આપી હતી.

પાઠકે જણાવ્યું હતું કે, ગમે તેટલી પ્રતિકૂળ પરિસ્થિતિઓ હોય, સરહદ સુરક્ષા દળના સૈનિકોનો ઉત્સાહ હંમેશા ઊંચો રહ્યો છે. રજાઓ રદ કરવામાં આવી હતી, પ્રતિકૂળ હવામાનમાં તૈનાતી હતી, છતાં મનોબળ ઊંચું હતું. દરેક સૈનિકે દેશની સેવાને સર્વોપરી રાખી છે. આપણા સરહદ રક્ષકોની હિંમત અને સતર્કતા જ હતી કે જ્યારે 23 મે 2025ના રોજ સુઇગામ નજીક ભારત-પાકિસ્તાન સરહદ પર એક પાકિસ્તાની ઘુસણખોરને ઘૂસણખોરી કરવાના પ્રયાસ કરવા દરમિયાન આપણા જાગૃત અને બહાદુર રક્ષકોએ તેને સ્થળ પર જ ઠાર કરી નાખ્યો હતો.

મહિલા રક્ષકોની પ્રશંસા કરતા, ઇન્સ્પેક્ટર જનરલે માહિતી આપી કે આ સમય દરમિયાન, સરહદ પર તૈનાત મહિલા રક્ષકોએ ઓપરેશન દરમિયાન દરેક મોરચે સૈનિકો સાથે ખભે ખભો મિલાવીને હિંમત બતાવી છે. પેટ્રોલિંગ હોય, દેખરેખ હોય કે સંદેશાવ્યવહાર નિયંત્રણ હોય, મહિલાઓએ સંપૂર્ણ નિષ્ઠા અને કાર્યક્ષમતા સાથે પોતાની જવાબદારીઓ નિભાવી છે. આ સંદર્ભમાં, દળના 02 મહિલા અધિકારીઓ, સહાયક કમાન્ડન્ટ નીતિ યાદવ અને સહાયક કમાન્ડન્ટ અમનદીપ કૌરનો ખાસ ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે બંનેએ ખાડી જેવા મુશ્કેલ વિસ્તારમાં અનોખુ નેતૃત્વ, ક્ષમતા અને હિંમત દર્શાવી છે. હાલમાં, ગુજરાત ફ્રન્ટિયરમાં 800થી વધુ મહિલા રક્ષકો તૈનાત છે, જેમાં અધિકારીઓ, ગૌણ અધિકારીઓ અને મહિલા કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.

ઓપરેશન સિંદૂર દરમિયાન, અન્ય સુરક્ષા દળો અને એજન્સીઓનો આભાર માનતા તેમણે કહ્યું કે ભારતીય સેના, વાયુસેના, રાજ્ય પોલીસ દળોએ પણ સંપૂર્ણ સહયોગ આપ્યો હતો અને તમામ દળોએ એક યુનિટ તરીકે કામ કર્યું હતું. આ કામગીરીમાં જિલ્લા વહીવટીતંત્ર અને સરહદી નાગરિકોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સરહદ સુરક્ષા દળને જિલ્લા વહીવટીતંત્ર તરફથી શક્ય તેટલો સહયોગ મળ્યો અને અમે સરહદી નાગરિકોને સુરક્ષિત રાખવામાં કોઈ કસર છોડી નહીં. આ સમય દરમિયાન, રાજ્ય સરકાર, ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી અને ગૃહમંત્રી તરફથી પણ દરેક પ્રકારની મદદ મળી હોવાનું તેમણે કહ્યું હતું. આ સાથે, બાડમેર, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાના જિલ્લા અધિકારીઓ તરફથી પણ સંપૂર્ણ સહયોગ મળ્યો હોવાનું ઉમેર્યું હતું.

સૌરાષ્ટ્ર સુરક્ષા દળની ગુપ્તચર શાખા, અન્ય ગુપ્તચર એજન્સીઓ પાસેથી પાકિસ્તાનની પ્રવૃત્તિઓ અને ઇરાદાઓ વિશે માહિતી મળતી રહી હોવાથી પાકિસ્તાન આપણને કોઈ નુકશાન કે તેના નાપાક ઇરાદાઓમાં સફળ થઈ શક્યું નહીં હોવાનું કહ્યું હતું. પત્રકાર પરિષદને સરહદ સુરક્ષા દળના બહાદુરીના ઇતિહાસ વિશે જણાવતા તેમણે કહ્યું કે સરહદ સુરક્ષા દળ માટે હિંમત અને બહાદુરી કંઈ નવી નથી. ભારત-પાક યુદ્ધોમાં સરહદોની સુરક્ષામાં સરહદ સુરક્ષા દળે હંમેશા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ડિસેમ્બર 1971માં જ્યારે ભારત-પાક યુદ્ધ શરૂ થયું, ત્યારે BSF એ સરહદ પર દુશ્મનનો પ્રારંભિક ફટકો સહન કર્યો અને પોતાના દમ પર અનેક આક્રમક કાર્યવાહી કરી અને 15 પાકિસ્તાની ચોકીઓ કબજે કરવામાં આવી 5-6 ડિસેમ્બર 1971ના રોજ, બીએસએફની 15મી બટાલિયને કાલિબેટ, વિંગી, પાનેલી અને જાટરાઈ પર પાકિસ્તાની સરહદી ચોકીઓ કબજે કરી હતી. બીજી બટાલિયને પાકિસ્તાની સરહદી ચોકી જલેલી તોડી પાડી અને દુશ્મનના વિસ્તારમાં ઘૂસીને નગરપારકર અને બિરાવાહ કબજે કર્યા હતા. ત્રીજી બટાલિયને પાકિસ્તાની સરહદી ચોકી વિગોર કબજે કરી હતી.

ઓપરેશન સિંદૂર દરમિયાન ગુજરાત ફ્રન્ટિયરના સરહદી રક્ષકોના યોગદાનને માન્યતા આપતા, ભારતીય સેનાએ બાડમેરના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ રાજકુમાર બસાતાને કોર્પ્સ કમાન્ડરનું "પ્રશંસા પ્રમાણપત્ર" એનાયત કર્યું છે. અંતમાં, ઇન્સ્પેક્ટર જનરલે મીડિયા કર્મચારીઓની પ્રશંસા કરી અને કહ્યું કે તમારા જવાબદાર પત્રકારત્વ, ચકાસાયેલી માહિતીનો સમયસર પ્રસાર અને રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે સંવેદનશીલતાએ સરહદી વિસ્તારોમાં જાહેર વિશ્વાસ જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તમારા દ્વારા, સાચી માહિતી સામાન્ય લોકો સુધી પહોંચે છે અને અફવાઓ ફેલાતી અટકે છે.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article