સુરતમાં તાપી નદીમાં પાણીની સપાટી વધતા વિયર કમ કોઝવેને બંધ કરાયો
- કોઝ-વે પર ભયજનક સપાટીને લીધે વાહન વ્યવહાર માટે બંધ,
- વાહનચાલકોને હવે ચંદ્રશેખર આઝાદ બ્રિજ અને ભોલી જહાંગીરપુરા બ્રિજનો ઉપયોગ કરવો પડશે,
- ગઈ તા. 11મી ઓગસ્ટે ફરીવાર બ્રિજ વાહન વ્યવહાર માટે ખૂલ્લો મુકાયો હતો
સુરતઃ શહેરમાં તાપી નદી પર વિયર કમ કોઝવે બનાવવામાં આવ્યો છે. જેના કારણે વાહનચાલકોને નદીના સામેના વિસ્તારોમાં જવા માટે સુગમતા રહે છે. તાપી નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદને લીધે પાણીનું સ્તર વધી રહ્યું છે. અને કોઝવે પર પાણીની સપાટી ભયજનક પર પહોંચતા વાહન વ્યવહાર માટે કોઝવે બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે વાહનચાલકોને તાપી નદી પરના અન્ય બ્રિજનો ઉપયોગ કરવાની ફરજ પડશે.
શહેરના તાપી નદી પર બનાવવામાં આવેલો કોઝવેની સપાટી 11 ઓગસ્ટના રોજ ઘટતા ટ્રાફિક માટે ખુલ્લો મુકાયો હતો, પરંતુ આજે ફરી કોઝવે ભયજનક સપાટી પર આવી જતા કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે હવે ચંદ્રશેખર આઝાદ બ્રિજ અને ભોલી જહાંગીરપુરા બ્રિજનો ઉપયોગ વાહન ચાલકોએ કરવો પડશે.
શહેરમાં તાપી નદી પર સિંગણપોર- રાંદેર વચ્ચે બનાવવામાં આવેલો વિયર કમ કોઝવે આ ચોમાસામાં પહેલી વાર 23 જુનના રોજ બંધ કરાયો હતો. 50 દિવસ બાદ 11 ઓગસ્ટના દિવસે કોઝવે વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો જેના કારણે રાંદેર- સિંગણપોર- કતારગામ જતા વાહનચાલકોને મોટી રાહત થઈ હતી. પરંતુ સાત દિવસમાં જ કોઝવેની સપાટી ફરી વધીને 5.95 મીટર થઈ જતા કોઝવે ફરીવાર વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. કોઝવે બંધ થતા હવે રાંદેર-કતારગામ-સિંગણપોર તરફ જતા વાહન ચાલકોએ જહાંગીરપુરા ડભોલી બ્રિજ અથવા ચંદ્રશેખર આઝાદ બ્રિજનો ઉપયોગ કરવો પડશે.