પરમાણુ અને જૈવિક ખતરાઓ સામે તૈયાર રહેવું પડશેઃ CDS જનરલ અનિલ ચૌહાણ
નવી દિલ્હીઃ CDS (ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ) જનરલ અનિલ ચૌહાણે કહ્યું છે કે ભવિષ્યમાં પરમાણુ તેમજ જૈવિક ખતરાઓનો સામનો કરવા માટે ભારતને સજ્જ થવું પડશે. તેઓ માનેક્શૉ સેન્ટરમાં મિલિટરી નર્સિંગ સર્વિસ (MNS)ના 100મા સ્થાપના દિવસ નિમિત્તે ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે જનરલ ચૌહાણે જણાવ્યું હતું કે આજના ડેટા-કેન્દ્રિત યુદ્ધમાં તબીબી ડેટાની સુરક્ષા અત્યંત મહત્વપૂર્ણ છે. વ્યક્તિગત તબીબી રેકોર્ડ, રિપોર્ટ્સ તથા સ્વાસ્થ્યનો ડેટા લીક ન થાય તેની ખાસ કાળજી લેવી પડશે.
તેમણે કહ્યું કે, “કોવિડ-19 મહામારી દરમિયાન દુનિયા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ હતી. ભવિષ્યમાં જૈવિક ખતરાઓ ભલે તે કુદરતી હોય, આકસ્મિક હોય કે માનવ નિર્મિત વધવાની શક્યતા છે. આવા ખતરાઓ સામે બચાવ માટે અને દર્દીઓની સારવાર માટે અલગ પ્રોટોકૉલ જરૂરી છે.”
CDSએ વધુમાં કહ્યું કે પરમાણુ બ્લેકમેઇલિંગથી ભારત ડરશે નહીં. “પરમાણુ હથિયારોના ઉપયોગની શક્યતા ઓછી છે, પણ સમજદારી એમાં છે કે આપણે તેની તૈયારી રાખીએ. રેડિયોલોજિકલ ખતરાઓ સામે બચાવ માટે અલગ પ્રોટોકોલ હોવા જોઈએ અને તે તાલીમનો ભાગ બનવો જોઈએ.” તેમણે જોર આપ્યું કે આવનારા સમયની પડકારોને ધ્યાનમાં રાખીને નર્સોના તાલીમમાં પરિવર્તન જરૂરી છે અને તે રાષ્ટ્રીય સુરક્ષામાં મહત્વનું યોગદાન આપશે.
પહેલગામ હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાન સામે ઓપરેશન સિંદુર હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ ભારતીય સુરક્ષાદળોએ હવાઈ હુમલા કરીને પાકિસ્તાનમાં ધમધમતા અનેક આતંકવાદી કેમ્પોનો નાશ કર્યો હતો. બીજી તરફ પાકિસ્તાન દ્વારા પરમાણુ હુમલાની સતત ધમકી આપવામાં આવી હતી.