ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સ્વાસ્થ્યને કારણે આપ્યું રાજીનામું
નવી દિલ્હીઃ જગદીપ ધનખડે સોમવારે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે રાજીનામાનું કારણ સ્વાસ્થ્ય સમસ્યાઓ ગણાવી છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું મોકલી દીધું છે.
જગદીપ ધનખડે પત્રમાં શું લખ્યું?
જગદીપ ધનખડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાનો પત્ર પોસ્ટ કર્યો અને કહ્યું કે, "રાષ્ટ્રપતિ, હું સ્વાસ્થ્ય સંભાળને પ્રાથમિકતા આપવા અને તબીબી સલાહનું પાલન કરવા માટે બંધારણના અનુચ્છેદ 67 (A) મુજબ તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપું છું. હું ભારતના રાષ્ટ્રપતિનો તેમના અતૂટ સમર્થન અને મારા કાર્યકાળ દરમિયાન અમારા સુખદ અને અદ્ભુત કાર્યકારી સંબંધો માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું."
ધનખડે વધુમાં કહ્યું કે, હું પ્રધાનમંત્રી અને આદરણીય મંત્રી પરિષદનો ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રધાનમંત્રીનો સહયોગ અને સમર્થન અમૂલ્ય રહ્યું છે અને મેં મારા કાર્યકાળ દરમિયાન ઘણું શીખ્યું છે. સંસદના તમામ સભ્યો તરફથી મને મળેલી હૂંફ, વિશ્વાસ અને સ્નેહ હંમેશા મારી યાદમાં રહેશે. આપણી મહાન લોકશાહીમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે મને મળેલા અમૂલ્ય અનુભવો અને આંતરદૃષ્ટિ માટે હું ખૂબ ખૂબ આભારી છું.
જગદીપ ધનખરે વધુમાં કહ્યું કે, આ મહત્ત્વપૂર્ણ સમયગાળા દરમિયાન ભારતની નોંધપાત્ર આર્થિક પ્રગતિ અને અભૂતપૂર્વ વિકાસને જોવો અને તેમાં ભાગ લેવો એ મારા માટે સૌભાગ્ય અને સંતોષની વાત રહી છે. આપણા રાષ્ટ્રના ઇતિહાસના આ પરિવર્તનશીલ યુગ દરમિયાન સેવા આપવી એ મારા માટે ખરેખર સન્માનની વાત રહી છે. આ પ્રતિષ્ઠિત પદને વિદાય આપતી વખતે, હું ભારતના વૈશ્વિક ઉદય અને અભૂતપૂર્વ સિદ્ધિઓ પર ગર્વ અનુભવું છું અને તેના ઉજ્જવળ ભવિષ્યમાં અતૂટ વિશ્વાસ રાખું છું.