વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ. અને સંલગ્ન કોલેજોમાં રેગિંગ સામે કડક કાર્યવાહીનો નિર્દેશ
- વીર નર્મદ યુનિવર્સિટી હવે ‘નો રેગિંગ ઝોન’ બનશે,
- યુજીસીની ગાઇડલાઇન મુજબ કડક પગલાં ભરવા નિર્દેશ,
- રેગિંગ કરતાં પકડાશે તો વિદ્યાર્થીનો પ્રવેશ અને શિષ્યવૃત્તિ રદ કરાશે
સુરતઃ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં થતાં રેગિંગ સામે યુજીએ ગાઈડલાઈન મુજબ કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યા બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ ભવનો, કેમ્પસ અને સંલગ્ન કોલેજોમાં રેગિંગ સામે કડક વલણ અપનાવ્યું છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ની તાજેતરની માર્ગદર્શિકા પ્રમાણે રેગિંગમાં સંડોવાયેલ વિદ્યાર્થી માટે શિષ્યવૃત્તિ રદ, સસ્પેન્શનથી લઈને પ્રવેશ રદ કરવાની જોગવાઈ અમલમાં મૂકવામાં આવી છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના રેગિંગ સામે કડક પગલા ભરવાનો નિર્દેશ આપ્યો છે. યુનિ કેમ્પસ અને કોલેજોને ‘નો રેગિંગ ઝોન’ તરીકે સ્થાપિત કરીને મુખ્ય ઉદ્દેશ શિક્ષણ માટે ભયમુક્ત અને શિસ્તભર્યું વાતાવરણ ઉભું કરવાનો છે. ખાસ કરીને નવા પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને સુરક્ષા અને મનોમેળ મેળવવા માટે પગલું લેવાયું છે. આ તમામ નિર્ણયો વિદ્યાર્થીઓના કલ્યાણ માટે છે અને ભવિષ્યમાં શિક્ષણસ્થળો પર સ્વચ્છ, ભયમુક્ત અને સલામત વાતાવરણ જાળવવામાં મદદરૂપ થશે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ભવનો. કેમ્પસ કે સંલગ્ન કોલેજોમાં રેગિંગ કરતા વિદ્યાર્થીઓ પકડાશે તો તેની શિષ્યવૃત્તિ સહિત સરકારી કે ખાનગી સહાયરૂપ લાભો તરત જ રદ કરાશે. આ પગલાથી ભવિષ્યમાં રેગિંગ કરતાં અટકાવાશે અને વિદ્યાર્થીઓમાં જવાબદારીનું ભાવ ઊભું થશે. રેગિંગના ગંભીર કેસમાં વિદ્યાર્થીઓના પ્રવેશને રદ કરવાનો નિર્ણય લેવાશે. યુનિવર્સિટી સ્તરે એક મહિના માટે સસ્પેન્શન અથવા સમગ્ર અભ્યાસમાંથી બહાર કાઢવાની શરત લાગુ પડશે. જો રેગિંગ હોસ્ટેલ અથવા કોલેજના કેમ્પસમાં થઈ હશે, તો વિદ્યાર્થીને તરત અસરથી હોસ્ટેલ કે કોલેજથી સસ્પેન્ડ કરાશે. આવું શિસ્ત જાળવવા માટે મહત્વપૂર્ણ પગલું ગણાશે.