ગુજરાતમાં માછીમારો માટે 1લી જુનથી 15મી ઓગસ્ટ સુધી વેકેશન
- રાજ્યના મત્સ્યોદ્યોગ વિભાગે માછીમારોને જાણ કરી
- માછીમારો દરિયો ખેડવા જઈ શકશે નહીં
- ચોમાસા દરમિયાન દરિયામાં કરંટને ઊંચા મોજા ઉથળતા હોય છે
અમદાવાદઃ ગુજરાતમાં સૌથી લાંબો 1600 કિલો મીટરનો દરિયા કિનારો આવેલો છે. અને સૌરાષ્ટ્રના વેરાવળ, પોરબંદર, ઓખા સહિત નાના મોટા બંદરો તેમજ દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત સહિતના બંદરો પરથી માછીમારો દરિયો ખેડવા માટે જતા હોય છે. સૌરાષ્ટ્રથી કચ્છ સુધીના બંદરો પર મોટી સંખ્યામાં માછીમારો દરિયો ખેડવા માટે જતા હોય છે. ત્યારે મત્સ્યોદ્યોગ વિભાગે માછીમારો માટે 1લી જુનથી 15મી ઓગસ્ટ સુધી વેકેશન જાહેર કર્યું છે. ચોમાસામાં દરિયામાં વધુ કરંટ રહેતો હોય છે, અને દરિયો તોફાની બનતો હોય છે. તેના લીધે માછીમારો માટે વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના બંદરો પર માછીમારો માટે વેકેશન જાહેર થયું છે જેમાં તા. 1 જુનથી 15 ઓગસ્ટ સુધીના વેકેશન અંગે માછીમારોની સંસ્થાઓને પરિપત્ર થી જાણ કરાઈ છે. પોરબંદરના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક તુષારભાઈ કોટીયા દ્વારા જિલ્લાના તમામ માછીમારો, એસોસીએશન તથા આગેવાનોને પરિપત્ર મારફત જણાવવામાં આવ્યુ છે કે પશ્ચિમ દરિયાઈ કાંઠા વિસ્તારમાં 1 જૂનથી 31 જુલાઈ 2025 નો સમયગાળો રાખવામાં આવ્યો છે.
ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો-2003 અને મત્સ્યોદ્યોગ અધિનિયમો-2003 માં ગુજરાત રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના જાહેરનામા મુજબ તા. 31-7-2024 થી ફિશીંગ બાનમાં ફેરફાર સમયગાળામાં ફેરફાર જાહેર કરવામાં આવ્યો છે. જે ધ્યાને લઈ જિલ્લાના દરિયાઇકાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં તા. 1જુન-25 થી તા.15 ઓગસ્ટ 25 સુધી યાંત્રિક બોટો દ્વારા થતી આંતરદેશીય તથા પ્રાદેશિક જળક્ષેત્રમાં માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે આ પ્રતિબંધમાંથી નોન મોટરાઇઝડ ક્રાફટ તથા પગડીયા માછીમારોને બાકાત રાખવામાં આવ્યા છે.