ભારતમાં 8 નાણાકીય વર્ષોમાં UPI વ્યવહારોમાં 114 ટકાનો વધારો થયો
નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની બેંકોમાં સુધારો કરવા માટે, સરકારે બ્યુરો ઑફ ફાઇનાન્શિયલ સર્વિસિસ ઇન્સ્ટિટ્યુશન્સ દ્વારા ટોચના મેનેજમેન્ટની પસંદગી કરવા, રાષ્ટ્રીયકૃત બેંકોમાં બિન-કાર્યકારી અધ્યક્ષોની નિમણૂક, ટેલેન્ટ પૂલનું વિસ્તરણ અને મેનેજિંગ ડિરેક્ટર્સની કામગીરીના આધારે કાર્યકાળ વધારવા જેવી પહેલો શરૂ કરી છે.
વધુમાં, EASE (એન્હાન્સ્ડ એક્સેસ એન્ડ સર્વિસ એક્સેલન્સ) સુધારાને કારણે ગવર્નન્સ, વિવેકપૂર્ણ ધિરાણ, જોખમ વ્યવસ્થાપન, ટેક્નોલોજી, ડેટા આધારિત બેંકિંગ અને પરિણામલક્ષી માનવ સંસાધન પ્રથાઓમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.
સૂક્ષ્મ, નાના અને મધ્યમ સાહસો (MSME) માટે, સરકારે મ્યુચ્યુઅલ ક્રેડિટ ગેરંટી સ્કીમ અને ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ જેવી યોજનાઓ શરૂ કરી છે, જેણે મહત્વપૂર્ણ નાણાકીય સહાય પૂરી પાડી છે અને નાના વ્યવસાયોને મજબૂત કર્યા છે. તેની સાથે જ ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શનની કુલ સંખ્યામાં પણ વધારો થયો છે. તે 2017-18માં 2,071 કરોડ હતી અને 2024-25માં વધીને 22,831 કરોડ થઈ હતી, જે 41 ટકાના CAGRનું પ્રતિનિધિત્વ કરે છે.
આ સમયગાળા દરમિયાન કુલ ચૂકવણીનું મૂલ્ય પણ રૂ.1,962 લાખ કરોડથી વધીને રૂ. 3,509 લાખ કરોડ થયું હતું. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે સરકાર અને ભારતીય રિઝર્વ બેંક (RBI) એ તાજેતરના વર્ષોમાં બેંકિંગ ક્ષેત્રને મજબૂત કરવા માટે ઘણા પગલાં અમલમાં મૂક્યા છે. આમાં લોન શિસ્તને પ્રોત્સાહન, જવાબદાર લોન વિતરણ, સુધારેલ શાસન, તકનીકી અપનાવવા અને સહકારી બેંકોના ઉન્નત નિયમનનો સમાવેશ થાય છે. યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI),ભારતની સૌથી લોકપ્રિય ડિજિટલ પેમેન્ટ પદ્ધતિએ છેલ્લાં આઠ નાણાકીય વર્ષોમાં ઝડપી વૃદ્ધિનો અનુભવ કર્યો છે.
સંસદમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, નાણાકીય વર્ષ 2017-18માં UPI વ્યવહારોની સંખ્યા 92 કરોડ હતી, જે 2024-25માં વધીને 18,587 કરોડ થઈ ગઈ છે. આ 114 ટકાનો ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) દર્શાવે છે. આ જ સમયગાળા દરમિયાન, UPI મારફત ચૂકવણીનું કુલ મૂલ્ય રૂ. 1.10 લાખ કરોડથી વધીને રૂ. 261 લાખ કરોડ થયું હતું. કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જુલાઈ 2025ને UPI માટે ઐતિહાસિક મહિનો ગણાવ્યો હતો, નોંધ્યું હતું કે તે મહિનામાં પહેલીવાર 1,946.79 કરોડથી વધુ વ્યવહારો કરવામાં આવ્યા હતા.