ઈકબાલગઢ નજીક નેશનલ હાઈવે પર ટ્રેલરમાં આગ લાગતા ખાક
- ટ્રેલરના ટાયરમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કર્યું
- ટ્રેલરના ચાલક અને ક્લીનરનો થયો બચાવ
- ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી
પાલનપુરઃ બનાસકાંઠામાં નેશનલ હાઈવે પર ઈકબાલગઢ નજીક ગત રાત્રે રાજસ્થાન તરફથી આવી રહેલા ટ્રેલરમાં આગ લાગી હતી. ટ્રેલરના ટાયરમાં પ્રથમ આગ લાગ્યા બાદ જોતજોતામાં આગ ટ્રેલરમાં ફેલાય હતી. જોકે આગ લાગ્યાની જાણ થતાં જ ડ્રાઈવર અને ક્લીનર ટ્રેલરમાંથી ઉતરી જતા તેના બચાવ થયો હતો. આગની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર ફાઈટરોએ દોડી જઈને પાણીનો સતત મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. આગને કારણે ટ્રેલર બળીને ખાક થયું હતું.
આ બનાવની વિગતો એવી છે કે, રાજસ્થાનથી પાલનપુર તરફ જઈ રહેલા એક ટ્રેલરમાં ગત રાતે ઈકબાલગઢ ગામ નજીક અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ટ્રેલરના પાછળના ટાયરમાં અચાનક આગ લાગતાં ચાલક અને ક્લીનરે તાત્કાલિક વાહનને રોડની સાઈડમાં ઊભું રાખ્યું હતું. જો કે, ટાયરમાંથી શરૂ થયેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ઘટનાની જાણ થતાં ઈકબાલગઢ આઉટ પોસ્ટ અને અમીરગઢ પોલીસ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે પ્રથમ ટ્રેલરના ચાલક અને ખલાસીને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. વધુ નુકસાન અટકાવવા માટે પોલીસે ભારે જહેમત ઉઠાવીને ટ્રેલરના આગળના ભાગને અલગ કરવામાં સફળતા મેળવી હતી. દરમિયાન ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
ઈકબાલગઢ નજીક હાઈવે પર વાહનોની અવરજવર અટકી ન પડે તે માટે એલ એન્ડ ટી વિભાગ અને અમીરગઢ પોલીસે ટ્રાફિક વ્યવસ્થાપન કર્યું હતું. સમયસર કરવામાં આવેલી કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને કોઈ જાનહાનિ થઈ ન હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ટ્રેલરનો ચાલક સુરક્ષિત છે અને તે આબુરોડ તરફથી આવી રહ્યો હતો.ટ્રેલરના પાછળ ભાગના એક ટાયરમા અચાનક આગ લાવી હતી, બાદમા બધા જ ટાયરમા આગ લાગી હતી.