અમદાવાદને હરિયાળું બનાવવા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 40 લાખ રોપા વવાશે
- મ્યુનિ. ખાનગી એજન્સી પાસેથી 21 લાખ રોપા ખરીદશે,
- પ્રતિ રોપાદીઠ રૂ.328 જેટલો ખર્ચ થવાનો અંદાજ,
- મ્યુનિના 157 પ્લોટમાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ થશે
અમદાવાદઃ શહેરને હરિયાળું બનાવવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 40 લાખ રોપા વવાશે. આ માટે મ્યુનિ. ખાનગી એજન્સી પાસેથી 21 લાખ રોપાની ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. પ્રતિ રોપાનો ભાવ રૂ.79 થવા જાય છે. જ્યારે એ બાદ 3 વર્ષ સુધી છોડની જાળવણી તથા લેબર કામ મળીને પ્રતિ છોડ છોડ રૂ.328 જેટલો ખર્ચ થવાનો અંદાજ છે. 40 લાખ રોપા પાછળ અંદાજે 69 કરોડનો ખર્ચ થશે. સ્ટેન્ડિંગ કમિટીએ આ ટેન્ડરને મંજૂરી આપી છે.
અમદાવાદ શહેરનું ગ્રીન કવર વધારવા માટે મ્યુનિ. દ્વારા દર વર્ષે વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે. પણ ત્યારબાદ વાવેલા રોપાની યોગ્ય જાળવણીના અભાવે રોપાઓ સુકાય જતા હોય છે. આ વર્ષે ચામાસા દરમિયાન 40 લાખ રોપા વાવવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. જેના માટે ખાનગી એજન્સીને કામ સોંપવામાં આવશે. અગાઉ મ્યુનિ. અધિકારીઓએ રોપાની ખરીદી સહિતના તમામ ટેન્ડરની રકમ પર 18 ટકા જીએસટી ગણવામાં આવ્યો હતો. જો કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને બેઠકમાં અધિકારીઓ પાસે સ્પષ્ટતા માગી હતી કે, માત્ર લેબર કામ પર જ જીએસટી લાગે, છોડ ઉપર તો કોઈ જીએસટી લાગે નહીં. જે સુધારા સાથે કામને મંજૂર કરાયું છે. જેથી મ્યુનિ.ને 5 કરોડનો ફાયદો થશે. હવે સ્થિતિ એ છે કે માત્ર મજૂરી પર જ જીએસટી લાગે છે. જો ગયા વર્ષે પણ છોડ ઉપર જીએસટી ચૂકવાયો હોય તો એજન્સી પાસેથી આ રકમ પરત વસૂલવા સૂચના અપાઇ છે.
અમદાવાદ શહેરમાં 5 જૂનથી અત્યાર સુધીમાં 2.38 લાખ છોડ રોપાયા છે. મ્યુનિના 157 પ્લોટમાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ થશે. મ્યુનિ. દ્વારા 40.50 લાખ રોપા પૈકી 4.30 લાખ નર્સરી પાસેથી, તેમજ 14 લાખ રોપા વન વિભાગ પાસેથી અને 21 લાખ રોપા ખાનગી એજન્સી પાસેથી ખરીદાશે તમામ વૃક્ષ ભારતીય મૂળના હશે, 95 હજાર વૃક્ષ મિસિંગ વેરાઈટીના હશે.