વિશ્વમાં હાલ દરેક વસ્તુને હથિયાર તરીકે ઉપયોગમાં લેવાનો ટ્રેન્ડ વધ્યો: ડો.એસ.જયશંકર
નવી દિલ્હીઃ વિશ્વ હાલમાં મોટા પરિવર્તન અને વધતી સ્પર્ધાના યુગમાંથી પસાર થઈ રહ્યું છે. તેમજ દરેક વસ્તુને હથિયાર તરીકે ઉપયોગ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે, અને આવા સમયમાં ભારતે પોતાની રણનીતિ વધુ મજબૂત બનાવી આગળ વધવું આવશ્યક છે. તેમ વિદેશ પ્રધાન એસ.જયશંકરે જણાવ્યું હતું. તેમણે “નેબરહુડ ફર્સ્ટ” નીતિ પર ભાર મૂકતાં કહ્યું કે ઉપખંડમાં કોઈપણ સંકટની સ્થિતિમાં ભારતને “ગો-ટુ ઑપ્શન” તરીકે ઉભું રહેવું પડશે.
જયશંકરે જણાવ્યું કે, આજના સમયમાં વૈશ્વિકીકરણ વિરુદ્ધ ભાવનાઓ અનેક દેશોમાં વધતી જઈ રહી છે. વેપારના જૂના સમીકરણો હવે ટેરિફની અનિશ્ચિતતાને કારણે બદલાઈ રહ્યા છે. તેમણે આ નિવેદન આપતા પરોક્ષ રીતે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની “અમેરિકા ફર્સ્ટ” નીતિ તરફ સંકેત કર્યો હતો. તાજેતરમાં અમેરિકાએ ભારત પર અનેક નવા ટેરિફ લગાવ્યા છે, જેના કારણે બંને દેશો વચ્ચે વેપારિક તણાવ વધ્યો છે.
જયશંકરે કહ્યું કે, ઉપખંડમાં કોઈપણ સંકટ સમયે ભારતને સૌથી વિશ્વસનીય વિકલ્પ તરીકે ઉભું રહેવું પડશે. તેમણે જણાવ્યું કે ભારતે વૈશ્વિક સંતુલન જાળવવા માટે એક મોટા વ્યૂહાત્મક બ્લોકનો ભાગ બનવું પડશે. “આ સમય એવો છે, જ્યાં દરેક વસ્તુને હથિયાર બનાવવાની પ્રવૃતિ વધી રહી છે,” એમ તેમણે કહ્યું હતું.
વિદેશ પ્રધાને જણાવ્યું કે હાલ ભારતનો પડોશ અત્યંત નાજુક પરિસ્થિતિમાં છે. પાકિસ્તાન સાથેના સંબંધો સતત તણાવપૂર્ણ છે, જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળમાં રાજકીય અસ્થિરતા અને વિરોધ પ્રદર્શનો વધી રહ્યા છે. આવા સંજોગોમાં ભારતે પોતાની નીતિઓ મજબૂત રાખી, સમજદારીપૂર્વક આગળ વધવું પડશે, એમ તેમણે જણાવ્યું હતું.