સુરેન્દ્રનગરમાં નવુ બનેલું એસટી બસ સ્ટેશન જર્જરિત બનવા લાગ્યુ
- એસટી બસ સ્ટેશનના પ્રવેશ દ્વારની ડિઝાઈનવાળી જાળીમાં બાકોરા પડ્યા
- પાણીની પરબ, શૌચાલય સહિતની પારાવાર સમસ્યાથી પ્રવાસીઓ પરેશાન
- એસટી બસ સ્ટેશનને નુકશાન પહોંચાડતા લૂખ્ખા તત્વો
સુરેન્દ્રનગરઃ શહેરમાં લાખો રૂપિયાના ખર્ચે નવું એસટી બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. આ નવા એસટી બસ સ્ટેશનની યોગ્ય રખેવાળીના અભાવે જર્જરિત બની રહ્યું છે. બસ સ્ટેશનની મિલકતોને વારંવાર નુકસાન પહોંચડવામાં આવી રહ્યુ છે. તેમ છતા કોઈ પગલાં લેવામાં આવતા નથી. લૂખ્ખા તત્વો મુખ્ય પ્રવેશ દ્વારની ડિઝાઇનીંગવાળા દરવાજાને દિવસે દિવસે નુકસાન કરી રહ્યા છે. જેના કારણે આ ડિઝાઇન નાબૂદ થવાની સાથે મોટી જગ્યા થતા જાણે અહીંથી પ્રવેશ કરવાનો હોય તેવા ઘાટ સર્જાયો છે.
સુરેન્દ્રનગર શહેરમાં જિલ્લાનો સૌથી મોટી એસટી ડેપો આવેલો છે. આ ડેપોમાં અંદાજે 68 જેટલી બસોનું સંચાલન કરવામાં આવે છે. રાજકોટ એસટી ડિવિઝન દ્વારા સુરેન્દ્રનગર એલટી બસ ડેપોનું સંચાલન કરવામાં આવી રહ્યુ છે. અંદાજે બે વર્ષ પહેલા બનેલા આ નવા ડેપોની દશા દિવસે દિવસે બદલાઈ રહી છે. બસ સ્ટેશનમાં પ્રાથમિક સુવિધાના અભાવે મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે. બસ સ્ટેશનમાં પોલીસ અને હોમગાર્ડ હોવા છતા આવારા તત્વોને કોઇ ડર ન હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. એક તરફ પાણીની પરબ, શૌચાલય સહિતના સ્થળોએ વારંવાર નુકસાન થતા એસટી તંત્રના અધિકારીઓ પણ ત્રાહિમામ છે. કારણ કે જ્યારે નવુ બસ સ્ટેશન બનાવવામાં આવ્યું ત્યારે અનવનવી ડાઇઝનીંગની જાળી સાથે મુખ્ય પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ જાળીઓની ઉપર પણ આવારા તત્વોનો ડોળો ફર્યો હોય તેમ દિવસે દિવસે નુકશાન કરવામાં આવી રહ્યુ છે. બંને સાઇડમાં રહેલી જાળીઓની ડિઝાઇનીંગ એટલી બધી તોડવામાં આવી છે જાણે એક વ્યક્તિ પણ તેમાં પ્રવેશી શકે તેટલી જગ્યા કરી નાંખી છે. મેઇન ગેટની જાળીઓમાં જ આટલુ બધુ નુકસાન થવા છતા તંત્ર મૌન અવસ્થામાં હોય તેમ આવારા તત્વોને વધુ નુકસાન કરવાનો સમય મળી રહ્યો છે.
સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેશનમાં મુખ્ય પ્રવેશ દ્વાર પાસે કલાત્મક જાળીઓની જાળવણી માટે આગામી દિવસોમાં ધ્યાન ન દેવામાં આવે તો અહીંયા ડિઝાઇનીંગ વાળી જાળીઓ હતી કે નહી ? તેવા પણ લોકોમાં સવાલો ઉભા થયા છે. ત્યારે બસ સ્ટેશનમાં વારંવાર મિલકતોને કરાતી નુકસાનની પ્રવૃતિઓ અટકાવાય તેવી લોકોમાં માંગ ઉઠી હતી.