કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકોને પોતાની માતૃભાષાને સન્માન આપવાની સાથે સાથે હિન્દીનો વધુ ઉપયોગ કરવા હાકલ કરી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકોને પોતાની માતૃભાષાને સન્માન આપવાની સાથે સાથે હિન્દીને સહયોગ આપવા હાકલ કરી છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે હિન્દી દિવસ તેમજ પાંચમાં અખિલ ભારતીય રાજભાષા સંમેલનને ખૂલ્લું મૂકતા, તેમણે સમય સાથે હિન્દીને વધુ લચિલી બનાવવા પર અને હિન્દી અને પ્રાદેશિક ભાષાઓના સહ-અસ્તિત્વ પર ભાર મૂક્યો હતો.
તેમણે કહ્યું, હિન્દીને વધુમાં લોકપ્રિય બનાવવા કેન્દ્ર સરકારે સારથિ મંચ અને હિન્દી શબ્દ સિંધુ કોષ જેવી સફળ પહેલ કરી છે. તેમણે હિન્દી માત્ર બોલચાલની ભાષા ન રહેતા તે વિજ્ઞાન તકનીક, ન્યાય અને પોલીસ વ્યવસ્થાની પણ ભાષા હોવી જોઈએ તેમ ભારપૂર્વક જણાવ્યું હતું.
આ પ્રસંગે તેમણે વર્ષ 2029 સુધી હિન્દી શબ્દ સિંધુ વિશ્વનો સૌથી મોટો શબ્દકોષ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. હિન્દીના સહ-અસ્તિત્વ સાથે સ્થાનિક ભાષાના વિકાસમાં ગુજરાતે દુનિયા સમક્ષ સફળ ઉદાહરણ પૂરું પાડ્યું હોવાનું પણ કહ્યું હતું. માતૃભાષાનું મહત્વનો પુનરોચ્ચાર કરતા શ્રી શાહે વાલીઓને ઘરમાં માતૃભાષાના ઉપયોગ અંગે અનુરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, હિન્દી અને પ્રાદેશિક ભાષાઓ વચ્ચે સમરસતા વધારવાના હેતુથી યોજાઈ રહેલા આ સંમેલનમાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં આશરે 7000 થી વધારે અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે.