લાખણી તાલુકાના જસરા ગામે પીઆઈના માતા-પિતાની હત્યાનો ભેદ ઉકેલાયો,
- ડબલ મર્ડર અને લૂંટના કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી,
- અંધશ્રદ્ધાએ વૃદ્ધ દંપત્તીનો ભોગ લીધો,
- આરોપીઓએ કાળા જાદુથી ધન પ્રાપ્ત માટે હત્યા કરી હતી
પાલનપુરઃ સ્ટેટ મોનિટરિંગ સેલમાં પોલીસ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા એવી પટેલના બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા ગામમાં રહેતા માતા-પિતાની હત્યા કરીને લૂંટનો બનાવ બન્યો હતો, ડબલ મર્ડર અને લૂંટના કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ ચકચારી કેસમાં વૃદ્ધ દંપતી વર્ધાજી મોતીજી પટેલ અને તેમના પત્ની હોશીબેન પટેલની હત્યા કરવામાં આવી હતી. આ મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પાડોશમાં જ રહેતો શખ્સ બ્લેક મેજિકનો જાણકાર હોય તેના મનમાં એવી અંધશ્રદ્ધા હતી કે આવા વ્યકિતને મારીને દાગીના લાવવામાં આવે તો વધુ ધનપ્રાપ્તિ થાય. જેથી તેણે તેના પિતા અને અન્ય બે લોકો સાથે મળીને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો.
આ બનાવની વિગત એવી હતી કે, ગઈ તા. 15 જૂન 2025ની રાત્રે આઠ વાગ્યાથી 16 જૂનની સવાર સુધીમાં અજાણ્યા શખ્સોએ વૃદ્ધ દંપતીના ખેતરમાં આવેલા મકાનમાં પ્રવેશ કર્યો હતો. આરોપીઓએ મુખ્ય દરવાજાનું તાળું તોડી વૃદ્ધ દંપતી પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલા બાદ હોશીબેનના શરીર પરથી 2.50 લાખની કિંમતના દાગીનાની લૂંટ કરી લૂંટાકા ફરાર થઇ ગયા હતા. પોલીસે આ કેસની તપાસ માટે એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્કોડ અને સ્થાનિક પોલીસની કુલ 9 ટીમો બનાવી હતી. તપાસ દરમિયાન એફએસએલ, ફિંગરપ્રિન્ટ, ડોગ સ્કોડનો સહારો લેવામાં આવ્યો હતો. પોલીસે આસપાસના 80થી વધુ CCTV ફૂટેજની તપાસ કરી હતી. આ ઉપરાંત નજીકના સોલાર પ્લાન્ટ અને અન્ય સ્થળોએ કામ કરતા 300થી વધુ મજૂરોની પૂછપરછ કરવામાં આવી હતી. હત્યારાઓ નજીકના જ હોવાનું અનુમાન લગાવીને પોલીસે પાડોશમાં રહેતા ચાર આરોપીને ઝડપ્યા હતા. જેમાં સુરેશ પટેલ, સામળ પટેલ ઉમા પટેલ અને દિલીપ ઠાકોરનો સમાવેશ થાય છે.
આ ઘટનામાં મુખ્ય સૂત્રધાર સુરેશ છે જે બ્લેક મેઝિકના જાણકાર છે. જેનામાં એવી અંધશ્રદ્ધા હતી કે, આવા વ્યક્તિને મારીને તેમના દાગીના લઈ લેવામાં આવે તેની મદદથી વધુ ધન પ્રાપ્ત થઈ શકે છે. આ માન્યતાને ધ્યાનમાં રાખીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. સુરેશે પોતાના પિતાને અને મામાને સાથે રાખ્યા હતા. રાત્રીના સમયમાં કોઈને અવાજ ન આવે તે માટે ટ્રેક્ટ્રર પણ ચાલુ રાખ્યુ હતું ત્યારબાદ આરોપીઓએ વૃદ્ધ દંપત્તીની હત્યા કરી હતી. આ સિવાય સુરેશના મુખ્ય ગુરૂ એક ભુવો છે. તેની પણ મદદ લેવામાં આવે છે. તેના ઘરે જઈને વિધી પણ કરે છે. જે બાદ તમામ દાગીના બીજા એક વ્યક્તિને આપી દે છે. સુરેશ છે તે બ્લેક મેઝિકનો જાણકાર હોવાથી તેની વિધી માટે જ આ હત્યા કરી હતી.
પોલીસની પ્રાથમિક વિગતમાં એ પણ સામે આવ્યું છે કે, સુરેશ પર ઘણું બધું દેવું પણ થઈ ગયું હતું. આર્થિક સંકળામણમાં હતો. તેથી આ રસ્તો અપનાવ્યો હતો. હત્યા થઈ તે દંપતીનું અને આરોપીઓનું ઘર નજીક જ હતું. જેથી વૃદ્ધ દંપતી એકલા રહેતા હોય તેમના ઉપર વોચ રાખી ઉક્ત બંને ઈસમોએ તેમના મામા ઉમાભાઇ ચેલાજી (ચૌધરી) પટેલ તેમજ દીલીપજી ઠાકોર ઉર્ફે ભુવાજી સાથે મળી દંપતીની હત્યા કરી હતી. સુરેશ પટેલ તેમજ તેના પિતા તથા મામાએ આ કાવતરૂ રચ્યું હતું. હત્યા કરતી વખતે અવાજ કોઇ સાંભળે નહી તે માટે ઉમા પટેલે ટ્રેક્ટર પણ ચાલુ કર્યું હતું. જેથી બીજો અવાજ ન આવે. મુખ્ય આરોપી સુરેશ પટેલ તેમજ તેના પિતા દ્વારા દંપતીને મારી નાખ્યા હતા. તેમજ મરણ જનાર હોશીબેનના પગના ભાગે પહેરેલા કડલા નીકળી શકે તેમ ના હોય બંને પગ કાપી નાખી દાગીના તથા ઘરમાં તિજોરીમાં રાખેલા સરસામાનની લૂંટ કરી હતી.