સુરતથી મહારાષ્ટ્ર જઈ રહેલી લકઝરી બસના ચાલકે ચીક્કાર દારૂ પીતા પ્રવાસીઓએ મારમાર્યો
- લકઝરી બસ ચાલક દારૂના નશામાં બેફામ અને જોખમી રીતે બસ હંકારી રહ્યો હતો,
- લકઝરી બસ સુરતથી મહારાષ્ટ્રના ચોપડા જઈ રહી હતી,
- મહારાષ્ટ્રના શિરપુર નજીક બસ રોકી ડ્રાઇવરને બરાબરનો મેથીપાક આપ્યો,
સુરતઃ રાજ્યમાં નશાની હાલતમાં વાહન ચલાવતા અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે સુરતથી મહારાષ્ટ્રના ચોપડા જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસના નશાબાજ ડ્રાઇવરને મહારાષ્ટ્રના શિરપુર નજીક પ્રવાસીઓએ ઢોર માર માર્યો હતો. લકઝરી બસનો ચાલક દારૂના નશામાં બેફામ અને જોખમી રીતે બસ હંકારી રહ્યો હતો, જેના કારણે બસમાં સવાર પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા.
આ બનાવની વિગતો એવી છે કે, સુરતથી મહારાષ્ટ્રના ચોપડા જવા માટે ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ રવાના થઈ હતી. સુરતથી લકઝરી બસનો ચાલક અસામાન્ય રીતે બસ ચલાવી રહ્યો છે. આ અંગે પ્રવાસીઓએ બસચાલકને ટપાર્યો પણ હતો. થોડા સમયમાં જાણ થઈ કે બસ ચાલક દારૂના નશામાં છે અને તે બેફામ ગતિએ, બસ ચલાવી રહ્યો છે. તેથી નશાની હાલતમાં ડ્રાઇવરના બેજવાબદાર વર્તનને કારણે પ્રવાસીઓ ગભરાઈ ગયા હતા અને જીવ જોખમમાં મૂકાયો હોવાનું અહેસાસ કરી રહ્યા હતા. ત્યાર બાદ પ્રવાસીઓએ ગમે તેમ કરીને બસને મહારાષ્ટ્રના શિરપુર નજીક અટકાવી હતી. બસ ઊભી રહેતા જ ગુસ્સે ભરાયેલા પ્રવાસીઓએ તાત્કાલિક બસ ચાલકને નીચે ઉતાર્યો અને જીવ જોખમમાં મૂકવાના કૃત્ય બદલ રોષ વ્યક્ત કર્યો હતો. આ રોષ એટલો ઉગ્ર હતો કે પ્રવાસીઓએ ડ્રાઇવરને જાહેરમાં જ મેથીપાક આપ્યો હતો.
લકઝરી બસના નશાબાજ બસચાલકને માર મારવામાં આવતો હોવાનો વિડીયો સોશિયલ મિડિયામાં વાઇરલ થઈ થયો હતો. આ ઘટનાએ ફરી એકવાર લાંબા અંતરની મુસાફરી કરતી લક્ઝરી બસોમાં ટ્રાફિકના નિયમો અને પ્રવાસીઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. નશામાં ધૂત ડ્રાઇવર દ્વારા પ્રવાસીઓના જીવ જોખમમાં મૂકવાની આ ગંભીર ઘટના બાદ ટ્રાવેલ એજન્સીઓ અને સંબંધિત અધિકારીઓ દ્વારા આવી બેદરકારી સામે કેવા પગલાં લેવાય છે તે જોવું રહ્યું. પ્રવાસીઓએ માંગણી કરી છે કે આવા બેજવાબદાર ડ્રાઇવરો સામે કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.