વર્ષ 2029 સુધીમાં 3 લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ ઉત્પાદનનો લક્ષ્યાંકઃ રાજનાથ સિંહ
નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે સરકારે 2029 સુધીમાં ત્રણ લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ ઉત્પાદનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે આયોજિત ‘રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદ’ વિષય પર એક કાર્યક્રમને સંબોધતા શ્રી રાજનાથ સિંહે ઉમેર્યું કે, આ સમયમર્યાદામાં સંરક્ષણ ક્ષેત્રમાં દેશની નિકાસ 50 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી જશે.સંરક્ષણ મંત્રીએ ભાર મૂક્યો હતો કે, વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન, જે 2014માં લગભગ 40 હજાર કરોડ રૂપિયા હતું, તે આજે 1.30 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ આંકડાને પાર કરી ગયું છે. મંત્રીએ જણાવ્યું કે, નાણાકીય વર્ષ 2024-25માં સંરક્ષણ નિકાસ 23 હજાર 622 કરોડ રૂપિયા સુધી પહોંચી છે અને ભારતમાં બનાવેલા સંરક્ષણ ઉત્પાદનો લગભગ 100 દેશોમાં નિકાસ કરવામાં આવી રહ્યા છે.
ભારત તેનું સંરક્ષણ બજેટ સતત વધારી રહ્યું છે. દેશના વાર્ષિક બજેટની સૌથી વધારે રકમ ડિફેન્સ માટે ફાળવવામાં આવે છે. એક અદાજ મુજબ વર્ષ 2047 સુધીમાં ભારતનું રક્ષા બજેટ 31.7 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. આ રકમ 2024-25માં ફાળવવામાં આવેલા 6.8 લાખ કરોડ રૂપિયાથી નોંધપાત્ર રીતે વધારે છે, જે આગામી બે દાયકામાં લગભગ 5 ગણો વધારો દર્શાવે છે. કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ) અને કેપીએમજીના સંયુક્ત અભ્યાસ અહેવાલમાં આ અંદાજ લગાવવામાં આવ્યો છે. આ સાંભળીને પાકિસ્તાનની ઉંઘ હરામ થવાની છે.