છત્તીસગઢમાં સુરક્ષાદળોનું સફળ ઓપરેશન, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ માર્યા ગયા
છત્તીસગઢના સુકમા-દંતેવાડા સરહદ પર જંગલમાં આજ સવારથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે સતત ફાયરીંગ થઈ રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં માઓવાદીઓને ભારે નુકસાન થયું છે અને 16 નક્સલવાદીઓ માર્યા ગયા છે. જયારે બે જવાનોને સામાન્ય ઈજા પણ થઈ હતી. સુરક્ષાદળો દ્વારા વિસ્તારમાં એન્કાઉન્ટર અને સર્ચ ઓપરેશન ચાલુ છે.
આ ઓપરેશન બાબતે એક અધિકારીએ જણાવ્યું કે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનો આ ઓપરેશનમાં સામેલ છે. તે વિસ્તારમાં માઓવાદીઓની હાજરી વિશે ઇન્ટેલિજન્સ દ્વારા માહિતી મળ્યા બાદ ગઈ રાત્રે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.'
આ પહેલા દંતેવાડા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ નક્સલવાદીઓ માર્યા ગયા હતા. જેમાંથી એકની ઓળખ સુધીર ઉર્ફે સુધાકર ઉર્ફે મુરલી તરીકે થઈ હતી, જેના પર 25 લાખ રૂપિયાનું ઈનામ હતું. આ સાથે જ ઘટનાસ્થળેથી ઈન્સાસ રાઈફલ, 303 રાઈફલ સહિત મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો હતો.