ધોરાજી-જામકંડોરણા રોડ પર જેસીબી સામે આવી જતા એસટી બસ દીવાલ સાથે અથડાઈ
- એસટી બસ પૂરઝડપે જતી હતી ત્યારે સામે જેસીબી આવી જતા બસચાલક ગભરાઈ ગયો
- બસનાચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ કારખાનાની દીવાલ સાથે અથડાઈ
- એસટી બસના 4 પ્રવાસીઓને ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયા
રાજકોટઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ધોરાજીના જામ કંડારણા રોડ પર સર્જાયો હતો. ધોરાજીનાં જામકંડોરણા રોડ પર એસટી બસના ચાલકે અચાનક જેસીબી સામે આવી જતાં સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ કારખાનાની દિવાલમાં ઘૂસી ગઇ હતી જેના પગલે ચાર મુસાફરને ઇજા થતાં સારવારમાં ખસેડાયા હતા. એસટી બસ જામનગરથી ઉના જઇ હતી ત્યારે ધોરાજી પાસે આ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતના આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, જામનગરથી ઉના તરફ જતી એસટી બસ જામકંડોરણા અને ધોરાજી ગામ વચ્ચે આવેલા વેગડી નજીક ભગવતિ પોલીમર્સ પાસે પહોંચી ત્યારે અચાનક એક જેસીબી ચાલક સામે આવી ગયો હતો અને તેની સાથે બસ અથડાતી અટકાવવા બસના ડ્રાઇવરે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ નજીકના કારખાનાની દીવાલ તોડીને અંદર ઘૂસી જવા પામી હતી. આ સમયે બસમાં અંદાજે 40 થી 45 પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટનામાં ડ્રાઈવર સહિતનાં ચાર પેસેન્જર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બસના ડ્રાઇવરે જણાવ્યું હતું કે જેસીબી ચાલકનો જ વાંક હોવા છતાં તેણે કારણ વગર માથાકૂટ કરી હતી, એટલું જ નહીં, બસ કારખાનાની દીવાલ તોડીને અંદર ઘૂસી જતાં માલિકને પણ સારું એવું નુકસાન થયું છે. તપાસ ધોરાજી તાલુકા પોલીસ ચલાવી રહી છે.