બનાસ ડેરીના ચેરમેન તરીકે શંકર ચૌધરી, વાઈસ ચેરમેનપદે ભાવાભાઈ રબારી ચૂંટાયા
- એશિયાની સૌથી મોટી ડેરીમાં શંકર ચૌધરીનું વર્ચસ્વ યથાવત રહ્યું,
- ભાજપના સત્તાવાર મેન્ડેટથી બન્નેને બિનહરીફ જાહેર કરાયા,
- જિલ્લા પુરવઠા અધિકારીએ બન્નેને બિન હરીફ ચૂંટાયેલા જાહેર કર્યા
પાલનપુરઃ એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં ફરી એકવાર શંકર ચૌધરીની ચેરમેનપદે સતત ત્રીજીવાર બિનહરીફ વરણી થઈ છે, જ્યારે વાઇસ ચેરમેનપદે ભાવાભાઈ રબારી ફરીથી ચૂંટાયા છે. ભાજપના સત્તાવાર મેન્ડેટથી બન્નેને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા.
બનાસ ડેરીના સાધારણ સભા હોલમાં યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં ચેરમેન અને વાઇસ ચેરમેનપદે એકજ ઉમેદવારી ફોર્મ ભરાતા બન્નેની બિનહરીફ વરણી જાહેર થઈ હતી. બનાસ ડેરીની 16માંથી 15 બેઠકો બિનહરીફ રહી હતી, જ્યારે દાંતા બેઠક પર ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ સમર્થિત અમરતજી પરમાર વિજેતા બન્યા હતા. આમ બનાસ ડેરીનું સમગ્ર સંચાલક મંડળ શંકરભાઈ ચૌધારી તરફી આવ્યું, એટલે પહેલેથી જ નક્કી હતું કે શંકરભાઈ ચેરમેન બનશે. અને જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ મેન્ડેટ પણ શંકરભાઈ અને ભાવાભાઈનો લઈ આવ્યા હતા.
સાધારણ સભાના હોલમાં બંધ બારણે ચૂંટણી પ્રક્રિયા થઈ. જેમાં જિલ્લા પુરવઠા અધિકારીએ પ્રથમ ચેરમેનપદ માટે ફોર્મ ભરાવ્યું જેમાં માત્ર શંકરભાઈ સિવાય કોઈનું પણ ફોર્મ ન આવતા તેમને બિનહરીફ જાહેર કરાયા, ત્યારબાદ ભાવાભાઈનું ફોર્મ ભરાયું હતું. અને તેમને પણ બિન હરિફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ., પાલનપુર (બનાસ ડેરી)ની સ્થાપના 1969માં થઈ હતી. સહુ પ્રથમ સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ સ્થાપક ચેરમેન (1969 થી 1972) સુધી રહ્યા, ત્યાર બાદ ગલબા ભાઈ માનજીભાઈ 8 વર્ષ અને સ્વ. દલુંભાઈ દેસાઈ 10 વર્ષ ચેરમેન પદે રહ્યા અને ત્યાર બાદ પરથીભાઈ ભટોળ લગભગ 22 વર્ષ સુધી ( 1994થી 2015) સુધી ડેરીનું સુકાન સંભાળ્યુ હતું.