સેવાસેતુ: રાજ્યના કુલ 3.07 કરોડથી વધુ નાગરિકોની સમસ્યાઓનું સ્થળ પર નિરાકરણ કરાયું
ગાંધીનગરઃ રાજ્યમાં સેવાસેતુ કાર્યક્રમ અંગેની વિગતો આપતાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યમાં હાલ સેવાસેતુનો 10મો તબક્કો ચાલી રહ્યો છે. જે અંતર્ગત અત્યાર સુધીના 10 તબક્કામાં રાજ્યના આશરે 3.07 કરોડથી વધારે નાગરિકોએ તત્કાલ સ્થળ ઉપર સેવાનો લાભ મેળવ્યો છે. આ અંગે વિગતવાર માહિતી આપતાં મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારના પારદર્શક, સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોનો સ્થળ પર નિરાકરણ થઈ શકે તે માટે વર્ષ 2016થી ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજવામાં આવે છે. અત્યાર સુધીના દસ તબક્કામાં કુલ 3,07,63,953 અરજીઓ મળી છે. જે પૈકી કુલ 3,07,30,659 એટલે કે 99.89 ટકા અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.
સેવાસેતુ હેઠળ આપવામાં આવતી સેવાઓ અંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે હાલ આ કાર્યક્રમમાં વિવિધ ૫૫ જેટલી સેવાઓને આવરી લેવામાં આવી છે. જેમાં આવકના દાખલા, રાશન કાર્ડ, આધાર કાર્ડ, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, વિધવા સહાય યોજના, વૃદ્ધ નિરાધાર સહાય યોજના, લર્નિંગ લાયસન્સ, સાતબાર/આઠ-અનાં પ્રમાણપત્રો, બસ કન્સેસન પાસ, નવું બૅંક એકાઉન્ટ ખોલાવવું, દિવ્યાંગતા પ્રમાણપત્ર, પશુઓની ગાયનેકોલોજિકલ સારવાર, PMJAY માં અરજી, લગ્ન નોંધણી પ્રમાણપત્ર અને સુકન્યા સમૃદ્ધિ યોજના સહિતની વિવિધ સેવાઓનો સમાવેશ થાય છે.
જુનાગઢ જિલ્લામાં તા. 31મી ડિસેમ્બર, 2024ની સ્થિતિએ છેલ્લાં એક વર્ષમાં સેવાસેતુના 10મા તબક્કામાં યોજાયેલા કાર્યક્રમોની વિગતો આપતાં મંત્રીએ જણાવ્યું કે વર્ષ 2024 દરમિયાન જુનાગઢ જિલ્લાના નવ તાલુકાઓમાં કુલ 27 જેટલા કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. જે અંતર્ગત મળેલી તમામ 73,454 જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.