ધર્મ એક એવો તત્વ છે કે, જે બધા પર લાગુ થાય, એ સંપૂર્ણ દુનિયા માટે એક જ છેઃ મોહન ભાગવતજી
- ધર્મમાં મતાંતરણ પોતાનો પ્રભાવ અને વિસ્તાર વધારવા થાય છે
- ધર્માનુસાર ચાલવામાં જ સૌનું કલ્યાણ છે, ધર્મની સૌને આવશ્યકતા છે
- બધા માને છે કે તે ભારત પાસેથી મળશે
અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ.પૂ. સરસંઘચાલક મોહનજી ભાગવત શનિવારે સદગુરધામ, ધરમપુર, વલસાડ ખાતે આયોજિત ભગવાન ભાવભાવેશ્વર રાજતોત્સવ સમાપન કાર્યક્ર્મમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ નિમિત્તે આયોજીત યજ્ઞમાં પવિત્ર આહુતિ અર્પી ભગવાન ભાવભાવેશ્વરને રજત નાગ (25 કિલો) અર્પણ કર્યો હતો.
આ પ્રસંગે પુર્ણાહુતી સમારોહમાં પ્રાસંગિક પ્રવચનમાં પ.પૂ. પરમાદર્શ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી વિદયાનન્દજી સરસ્વતી મહારાજ મોહનજી ભાગવત આવકારી આદિવાસીઓના અનુગ્રહને માન આપી બરૂમાળ બીજી વખત ખૂબ જ ટૂંકા ગાળામાં પધાર્યા એ બદલ આભાર પ્રગટ કરી આદિવાસી સમાજ જે રીતે વિધાર્મીઓનો સામનો કરી રહ્યો છે વિશે અને 1945 થી એમના ગુરુ દ્વારા આદિવાસી સંસ્કૃતિના જતન અને સંવર્ધન બાબતે જે જે માનવહિતકારી કાર્યોની વિગતે વાતો કરી હતી.
આ પ્રસંગે પોતાના ઉદબોધનમાં મોહનજીએ કહ્યું હતું કે ધર્મ એક એવો તત્વ છે કે જે બધા પર લાગુ થાય છે. એ સંપૂર્ણ દુનિયા માટે એક જ છે. પૃથ્વીની ઉત્પત્તિ સાથે આ નિયમ બન્યો, એ નિયમથી જ આ સૃષ્ટિ ચાલે છે. માટે ધર્મથી મુક્ત આ દુનિયામાં કઈજ નથી. સૌની શ્રદ્ધા જુદી-જુદી હોઇ શકે પરંતુ તે એક જ છે. તેથી મતાંતરણની આવશ્યકતા જ નથી. ડો. મોહન ભાગવતે વધુમાં કહ્યું, કે મતાંતરણ પોતાનો પ્રભાવ વધારવા, પોતાની સત્તા વધારવા, પોતાનો વિસ્તાર કરવા થાય છે, કારણ કે તેથી સત્તા અને સત્તાથી પોતાની મનોકામના પૂર્ણ કરી શકાય છે, બાકી લોકોનો ઉપયોગ કરી શકાય છે. આ મનોવૃત્તિ આવી ત્યારે મતાંતરણ આરંભ થયું. અન્યથા પ્રત્યેક પૂજાની પાછળ અધ્યાત્મ છે, અધ્યાત્મને ધ્યાનમાં રાખીએ તો મતાંતરણની આવશ્યકતા નથી,
તેમણે ઉમેર્યુ હતું કે, એવી શક્તિઓ છે જે નવો આધ્યાત્મિક રસ્તો નથી આપતી, લોભથી, લાલચથી, જોર-જબરદસ્તીથી, મજબુરીનો ફાયદો ઉઠાવીને બદલવાનો પ્રયાસ કરે છે. તે વાસ્તવમાં અત્યાચાર છે તે ન થવું જોઈએ, પરંતુ તે ન થાય તે માટે આપણે શું કરવું જોઈએ? ખૂબ સરળ છે. જેને જે કરવું હોય તે કરે પણ આપણે જ ન બદલાઈએ તો તે શું કરશે?. આપણે જોડવાનું જાણીએ અને જોડવા ઇચ્છીએ છીએ, આપણે લડવા-લડાવવા નથી ઇચ્છતા, પરંતુ આપણે બચવા-બચાવવાનું કરવું જ પડશે. આપણુ આચરણ શુદ્ધ રહે, ધર્માનુસાર ચાલે કારણ કે ધર્માનુસાર ચાલવામાં જ સૌનું કલ્યાણ છે. આપણે સ્વાર્થ, લાલચમાં ફસાઇ ન જઈએ, કોઈ આપણને ધર્માભિમુખ ન કરે તે માટે કેન્દ્ર બનાવવામાં આવે જ્યાં તેમને ધર્મલાભ થાય. જેને આપણી પરંપરામાં મંદિર કહે છે જ્યાં બધા સમાજ આવે છે. મંદિરથી અધ્યાત્મ, ધર્મ, શ્રદ્ધા, આર્થિક, સામાજિક વગેરે પ્રત્યેક પ્રકારના જીવનનું પ્રશિક્ષણ અને સંચાલન મળતું હતું. ધર્મની સોને આવશ્યકતા છે અને બધા માને છે કે તે ભારત પાસેથી મળશે તેથી ભારતે પોતાના ધર્મ ઉપર ઉભા થવું પડશે.