ગુજરાતમાં રેશનીંગના દુકાનદારો E-KYCના વિરોધમાં આજથી હડતાળ પર ઉતર્યા
- ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસો. હડતાળમાં ન જોડાયું
- રેશનીંગના દુકાનદારોએ કમિશનમાં વધારો કરવાની કરી માગ
- અનેક ગરીબ પરિવારો ઈ-કેવાયસી કરાવી શક્યા નથી, રેશનીંગનો ન આપવો ઉચિત નથી
અમદાવાદઃ ગુજરાત ફેરપ્રાઈઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન સાથે જોડાયેલા રેશનીંગના દૂકાનદારો ફરજિયાત ઈ-કેવાયસીના વિરોધમાં આજથી હડતાલ પર ઉતર્યા છે. સરકારે તમામ રેશનકાર્ડધારકો માટે ઈ-કેવાયસી ફરજિયાત કર્યું છે. રાજ્ય સરકારના પ્રયાસો છતાંયે ઈ-કેવાયસીમાં 100 સફળતા મળી નથી. હજુ 15થી 20 ટકા રેશનકાર્ડ ધારકો ઈ-કેવાયસી કરાવી શક્યા નથી. બીજીબાજુ સરકારે ઈ-કેવાયસી ન કરનારા ગ્રાહકોને રાશન આપવાનું બંધ કરી દીધુ છે. ત્યારે રેશનીંગના દુકાનદારોને મળતા કમિશનમાં ફટકો પડ્યો છે. રેશનીંગની દુકાનદારોની હડતાળમાં જોકે ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન જોડાયુ નથી.
ગુજરાત સરકારે ઈ-કેવાયસી ન હોય તેવા ગરીબ પરિવારોને 13 મે થી અનાજ વિતરણ બંધ કરવામાં આવ્યું છે. તેનો રેશનીંગના દુકાનદારો વિરોધ કરી રહ્યા છે. રેશનીંગના દુકાનદારોના કહેવા મુજબ પુરવઠા નિગમ દ્વારા ગોડાઉનથી અનાજનો પૂરતો જથ્થો આવતો નથી. વેપારીઓને એક કિલો અનાજના વેચાણ પર કમિશન માત્ર રૂ. 1.50 ને બદલે રૂ.3 આપવું જોઈએ, હાલ સરકાર દ્વારા 97 ટકા અનાજ વિતરણ પર 20,000 કમિશન આપવામાં આવે છે જે ઘટાડી 93 ટકા કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.
ગુજરાત ફેરપ્રાઈઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સના પ્રમુખ પ્રહલાદભાઈ મોદીએ ઈ-કેવાયસીના મુદ્દે 1 જૂનથી હડતાલની જાહેરાત કરી હતી. રેશનીંગના દુકાનદારોને 20,000થી વધુ કમિશન મળે છે જેની સામે ખર્ચ પણ વધારે થાય છે. હાલ 1 કિલો ઘઉં, ચોખા, ખાંડ અને મીઠુંના 1 કિલોના વિતરણ પર રૂ. 1.50 કમિશન મળે છે, જે વધારી રૂ. 3 કરવામા આવે તેવી માંગણી છે. આ સાથે જ ગોડાઉન ખાતેથી જથ્થો ઓછો આવે છે, નબળા વેપારીઓ પાસેથી મજૂરીના નામે ખંડણી ઉઘરાવવામાં આવે છે. એટલે કે ગોડાઉનથી માલ સસ્તા અનાજની દુકાને પહોંચાડવાના એક દુકાનમાં એક કટ્ટા દિઠ રૂ. 4 એટલે એવરેજ 100 કટ્ટાના રૂ. 400 દુકાનદાર પાસેથી માગવામાં આવે છે. જે ગેરકાયદેસર છે. સમગ્ર રાજ્યમાં 75 લાખ ગ્રાહકો છે. ઈ-કેવાયસી માટે રાજ્ય સરકાર છેલ્લા દોઢ વર્ષથી હેરાન થઈ રહી છે. જુદી જુદી એજન્સીઓને કામગીરી આપેલી છે. જેમાં રેશનીંગના દુકાનદારોને પણ આ કામગીરી સોંપવામાં આવી હતી. છતાં પણ સરકાર 70% ની આસપાસ ઈ-કેવાયસી કરી શક્યું છે અને હજુ 30% લોકો કે જેઓ ગરીબ છે અને મોબાઇલ યુઝ કરતા આવડતો નથી તેવા સહિતનાં ગ્રાહકો ઈ- કેવાયસી ન હોવાથી 13 મે બાદથી રાશનનો જથ્થો મેળવી શકતા નથી. રાજ્યમાં 15000 જેટલા સંસ્થા અને વેપારીઓ છે. જેમની સાચી સમસ્યાઓનું નિરાકરણ સરકાર દ્વારા સત્વરે લાવવામાં આવે તે જરૂરી છે.