AICTEની મંજૂર સંખ્યા કરતા વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી ખાનગી યુનિવર્સિટીઓ
- ખાનગી યુનિવર્સિટી સામે સરકારના સૂચક મૌનનો આક્ષેપ,
- ભાજપ સરકારની નીતિને લીધે ખાનગી યુનિવર્સિટીઓ વ્યાપાર કેન્દ્રો બની ગઈ,
- ગુજરાતમાં ટેકનિકલ શિક્ષણ ગુણવત્તામાં સતત ઘટાડો થઈ રહ્યો છે
અમદાવાદઃ ઇજનેરી, ડિગ્રી - ડિપ્લોમા, બીબીએ - બીસીએ, એમબીએ, એમસીએ સહિતના અભ્યાસક્રમમાં પ્રવેશ, શિક્ષણની ગુણવતા સહિતની નિયમન કરતી રાષ્ટ્રીય સંસ્થા એઆઈસીટીઈ(AICTE)નાં નિયમોની છટકબારીનો આશરો લઈ મંજૂર પ્રવેશ સંખ્યા કરતા વધુ પ્રવેશ આપતી ખાનગી યુનિવર્સિટીઓ બેફામ ફી વસૂલતા વ્યાપાર કેન્દ્રો બની ગયા છે. તે માટે ભાજપ સરકારની નીતિ જવાબદાર છે. એવો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વિનર અને પ્રવકતા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ટેક્નિકલ શિક્ષણની ગુણવતા, માપદંડોની જાળવણી માટે સંસદના કાયદા હેઠળ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેક્નિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ)ની જવાબદારી છે. છેલ્લા કેટલાક સમયથી સમગ્ર દેશ અને ગુજરાતમાં ટેકનિકલ શિક્ષણ ગુણવત્તામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ઊંચી ફી વસૂલાતી સંસ્થાઓ ક્વોલિટી એજ્યુકેશનને બદલે ક્વોન્ટિટી એજ્યુકેશન પર ભાર આપીને વ્યાપાર કેન્દ્રો બની રહ્યા છે.
તેમણે કહ્યું કે, ગુજરાતમાં ખાનગી યુનિવર્સિટીઓમાં મનફાવે તે રીતે પ્રવેશ સંખ્યા (ઇનટેક) પોતાની રીતે અમલવારી કરી રહી છે. ખાનગી યુનિવર્સિટીઓમાં ઇજનેરી ડિગ્રી - ડિપ્લોમા અભ્યાસક્રમ માટે એઆઈસીટીઈએ મંજૂર કરેલ પ્રવેશ સંખ્યા (ઇનટેક) અને જે તે ખાનગી યુનિવર્સિટીઓ પોતાની રીતે પ્રવેશ સંખ્યા બમણી કે ત્રણ ગણી વધારીને પ્રવેશ આપી રહી છે. વિધાર્થી - વાલીઓને કઈ વિદ્યાશાખામાં કેટલી બેઠકોને એઆઈસીટીઇએ મંજૂરી આપી છે? તે વિગતો ખાનગી યુનિવર્સિટીઓ તો મજૂરી ન દર્શાવે પણ ગુજરાત સરકારની કેન્દ્રીય પ્રવેશ સમિતિ (ACPC)માં પણ ઉલ્લેખ કરવામાં આવતો નથી જે વિધાર્થી - વાલીઓ ઊંચી કી ભર્યા પછી પણ અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. રાજ્ય સરકારની પ્રવેશ સમિતિનું કામ માત્ર લાખો રૂપિયા ફોર્મ ફી ઉઘરાવવાનું નથી પણ વાલી - વિધાર્થીઓને સાચું માર્ગદર્શન પણ આપવાનું છે જે બાબત દર્શાવે છે કે રાજ્ય સરકાર ટેક્નિકલ શિક્ષણ વિભાગને કરોડો રૂપિયાનો નફો કરતી ખાનગી યુનિવર્સિટીઓનાં વ્યાપાર કેન્દ્રોન હિતમાં વિશેષ રસ હોય તે જણાય છે. હકીકતમાં ગુજરાતમાં વિદ્યાર્થીઓ - વાલીઓની ચિંતા કરવી જોઈએ જે બાબત રાજ્ય સરકાર - શિક્ષણ વિભાગ સદંતર મૌન છે.
કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા ઊંચી ફી વસૂલીને આપવામાં આવતા આડેધડ પ્રવેશ પર રોક લગાવવામાં આવે, પ્રવેશ સંખ્યા, કાર્યરત અધ્યાપકો, લેબોરેટરીની સુવિધા, પ્લેસમેન્ટની માહિતી સહિતની વિગતો સરળતાથી વિધાર્થીઓ-વાલીઓ જાણી શકે તે રીતે પ્રસિદ્ધ કરવામાં આવે.