પાકિસ્તાન મરીને આંતરરાષ્ટ્રીય જળસીમા નજીકથી ઓખાની બોટ સહિત 8 માછીમારોનું અપહરણ કર્યુ
- પોરબંદર નજીક દરિયામાં માછીમારી કરી રહેલા 8 માછીમારોનુ અપહરણ,
- 8 માછીમારો ગીર સોમનાથ જિલ્લાના છે,
- ભારતીય કોસ્ટ ગાર્ડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની,
પોરબંદરઃ દરિયામાં ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહેલા 8 ભારતીય માછીમારોને પાકિસ્તાન મરીન એજન્સી અપહરણ કરી ગઈ છે. ઓખા પોર્ટની એક ફિશિંગ બોટનું તેના 8 ક્રૂ મેમ્બર્સ સાથે અપહરણ કરી લેવામાં આવ્યું છે. માછીમારો ગીર સોમનાથ જિલ્લાના હાવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની ગંભીર નોંધ લેતા ભારતીય કોસ્ટ ગાર્ડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર આવી ગઈ છે. દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી (PMSA) દ્વારા ફરી એકવાર બોટ સાથે 8 ભારતીય માછીમારોને ઉઠાવી ગઈ છે. ભારતીય જળસીમા નજીક અરબ સાગરમાં માછીમારી કરી રહેલી ઓખા પોર્ટની એક ફિશિંગ બોટનું તેના 8 ક્રૂ મેમ્બર્સ સાથે અપહરણ કરી લેવામાં આવ્યું છે. આ ઘટના પોરબંદરની દરિયાઈ હદમાં આવતા આંતરરાષ્ટ્રીય જળસીમા (IMBL) નજીક બની હતી. ફિશિંગ બોટ ઓખા પોર્ટની હોવાનું જાણવા મળ્યું છે. જોકે, બોટ પર સવાર તમામ 8 માછીમારો ગીર સોમનાથ જિલ્લાના હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે. આ માછીમારો મારવાડની એક બોટ પર સવાર થઈને અરબ સાગરમાં પોરબંદર નજીક પોતાની રોજીરોટી માટે માછીમારી કરી રહ્યા હતા. તે જ સમયે પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીના જવાનોએ ત્યાં ઘૂસણખોરી કરી ભારતીય બોટને આંતરી હતી અને બળજબરીથી બોટ તેમજ તેમાં સવાર તમામ 8 માછીમારોનું અપહરણ કરીને તેમને પાકિસ્તાન તરફ લઈ ગયા હતા.
પાકિસ્તાન મરીન એજન્સી દ્વારા આઠ માછીમારોના અપહરણના સમાચાર વાયુવેગે ફેલાતા જ માછીમારોના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. પાકિસ્તાન દ્વારા અવારનવાર થતી આ અપહરણની પ્રવૃત્તિઓને કારણે સમગ્ર માછીમાર સમાજમાં ચિંતા અને ભયનો માહોલ સર્જાયો છે. આ બનાવ બાદ ભારતીય કોસ્ટ ગાર્ડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર આવી ગઈ છે. દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે.