ગાંધીનગરમાં આતંકવાદ પર PM મોદીએ કહ્યું, કે, અમે નક્કી કર્યું છે કે, આ કાંટો કાઢીને જ રહીશું..
- ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભવ્ય રોડ શો યોજાયો
- મહાત્મા મંદિરમાં મોદીએ કરોડો રૂપિયાના વિકાસના કામોનું કર્યું લોકાર્પણ
- મોદીએ સંબોધનમાં કહ્યું કે આ વખતે વીડિયો સાથે કાર્યવાહી થઈ, એટલે ઘરના લોકો પુરાવા ન માગે
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસનો પ્રવાસ પૂર્ણ કરીને દિલ્હી જવા રવાના થયા હતા. આજે ગાંધીનગરમાં વડાપ્રધાન મોદીનો મેગા રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં શહેરજનો હાથમાં તિરંગા સાથે વડાપ્રધાનનું અભિવાદન કરવા ઉમટી પડ્યા હતા. વડાપ્રધાન રોડ શો બાદ મહાત્મા મંદિર પહોચ્યા હતા. જ્યારે તેમણે કરોડો રૂપિયાના વિવિધ વિકાસના કામોનું વર્ચ્યુલી લોકોર્પણ કર્યા બાદ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, આતંકવાદીઓને ઠેકાણે પાડીને નક્કી કર્યું હતું કે આ વખતે અમે કાંટો કાઢીને રહીશું, આ વખતે વીડિયો કાર્યવાહી કરવામાં આવી હતી એટલે ઘરના લોકો પુરાવા ન માગી શકે,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા હતા. ગઈકાલે સોમવારે અમદાવાદમાં મોદીએ રોડ શો યોજ્યા બાદ ગાંધીનગર રાજભવનમાં રાત્રી રોકાણ કર્યું હતુ. અને આજે પાટનગર ગાંધીનગરમાં મોદીનો ભવ્ય રોડ શો યોજાયો હતો. ઓપરેશન સિંદુરની સફળતા બાદ પહેલી વખત ગાંધીનગર આવેલા વડાપ્રધાનને આવકારવા માટે પાટનગરવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોમાં 50 હજારથી પણ વધુ લોકો જોડાયા હતા. અહીં 50 જેટલા બ્લોક રાખવામાં આવ્યા હતા. જ્યાં લોકોએ ઉભા રહીને વડાપ્રધાનને આવકાર્યા હતા. પીએમ મોદીએ ગાંધીનગર રાજભવનથી સેન્ટ્રલ વિસ્ટા થઇને મહાત્મા મંદિર સુધી રોડ શો યોજ્યો હતો. ત્યારે સેન્ટ્ર વિસ્ટાના આ રૂટ પર તિરંગાની થીમ પર સજાવટ કરવામાં આવી હતી. અહીં તિરંગા કલરમાં મંડપ બાંધવામાં આવ્યો હતો તો તિરંગા આધારિત કલર કોડ પણ રાખવામાં આવ્યા હતા. રોડ શો યોજ્યા બાદ પીએમ મોદી મહાત્મા મંદિર પહોંચ્યા હતા. વડાપ્રધાનની સાથે રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહરાજ્યમંત્રી સંઘવી, કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ સહિતના નેતાઓ જોવા મળ્યા હતા. મહાત્મા મંદિરમાં વડાપ્રધાન મોદીએ રૂ.5,536 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યુ હતુ ત્યારબાદ સભાને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતુ કે, વિદેશી વસ્તુઓ ના ખરીદી ઓપરેશન સિંદૂરને સફળ બનાવવાનું છે, આ વખતે બધું કેમેરાની સામે કર્યું એટલે કોઈ પુરાવા નહીં માંગે. આ ઉપરાંત મોદીએ 55 મિનિટના ભાષણમાં કાંકરિયા-અટલબ્રીજની ટિકિટનું રહસ્ય પણ ખોલ્યું હતું. તેણે કહ્યું કે, મેં કાંકરિયાનું પુનઃ નિર્માણનું કામ કર્યું અને તેમા પણ ટિકિટ લગાવી, તો કોંગ્રેસે આંદોલન કર્યું, કોર્ટ સુધી પહોંચી ગયા. પરંતુ એ નાનકડા પ્રયાસે આજે કાંકરિયાને બચાવીને રાખ્યું છે. આજે દરેક સમાજનો વર્ગ સુખ શાંતિથી ત્યાં જાય છે. અટલ બ્રિજ વખતે પણ એવું જ થયું હતું. જ્યારે હું ઉદ્ધાટન કરવા આવ્યો ત્યારે ઉદ્ધાટન પહેલાં જ પાનની પિચકારીઓ જોવાતાં મેં કીધુ કે આના પર ટિકિટ રાખો, તો ઘણા લોકોએ કીધુ કે સાહેબ ચૂંટણી છે, પણ મેં દિલ્હી જઇને ફરીથી ફોન કર્યો કે ટિકિટ લગાવી કે નહીં?. અમે ટિકિટ પણ લગાવી અને ચૂંટણી પણ જીત્યા એટલે જ કહું છું કે, વિકાસ ક્યારેય સમાજ વિરોધી નથી હોતો.