અમદાવાદમાં રન-વેના વિસ્તરણ માટે અડચણરૂપ બાંધકામો દુર કરાશે
- સરદારનગરમાં 50 વર્ષ જુના 210 મકાનો તોડી પડાશે
- ગુજરાત હાઇકોર્ટમાં કેવિયેટ દાખલ, લેન્ડ ગ્રેબિંગની પ્રક્રિયા શરૂ કરાઇ
- 3505 મીટરના લાંબા રન-વે સમકક્ષ 1610 મીટર બાકી રહેલા ટેક્સી-વેની કાર્યવાહી પૂર્ણ કરાશે
અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર એર ટ્રાફિક વધતો જાય છે. હવે એર ટેક્સી અને ચાર્ટર્ડ ફ્લાઈટ્સની અવર-જવર વધી રહી છે. ત્યારે રન વેનું વિસ્તરણ કરવું જરૂરી બન્યુ છે. એરપોર્ટ પર આવેલા 3505 મીટર લાંબા રન-વેની સમકક્ષ 1895 મીટર અડધો ટેક્સી-વે કાર્યરત છે. હવે 1610 મીટરનો ટેક્સી-વે પૂરો કરવા માટે અડચણરૂપ બાંધકામોને દૂર કરવા મેગા ડિમોલેશન કરાશે. જેમાં સરદારનગર એરિયાના અંદાજે 50 વર્ષથી રન-વેની બાજુમાં બે-ત્રણ માળના મકાનોને આગામી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. 210 જેટલા રહિશોને આગામી દિવસોમાં નોટિસ ફટકારવામાં આવશે. મકાનોના રેવન્યું રેકોર્ડ મુજબ દબાણો ગેરકાયદેસર હોવાનું કહેવાય છે.
અમદાવાદ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર વધતા જતાં એર ટ્રાફિકને લીધે રન-વેના વિસ્તૃતિકરણનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રન-વેના વિસ્તૃતિકરણમાં નડતરરૂપ 210 જેટલા મકાનો તોડી પડાશે. આ મકાનો ગેરકાયે હોવાનું કહેવાય છે. કારણ કે તે 20 રૂપિયાના સ્ટેમ્પ પર લખીને આપેલા છે, આ મકાનો તોડતા અટકાવવા કોઇ હાઇકોર્ટમાં સ્ટે ન લાવે માટે કેવિયેટ ફાઇલ કરી દેવામાં આવી છે. આ તોડફોડમાં જો કોઇ અડચણ ઉભી કરશે તો તેની સામે કલેક્ટર દ્વારા લેન્ડ ગ્રેબ્રિંગ કરવાની તૈયારીઓ થઇ છે. પોલીસ કાફલો પણ સ્થળ પર હશે અને કોઇ અનિચ્છિય ઘટના ન બને તે માટે ખાસ ધ્યાન રખાશે. ડિમોલેશનની કામગીરી માટે આગામી સમયમાં પોલીસ અને સરકારી તંત્રને જાણ કરાશે,
સૂત્રોના કહેવા મુજબ શહેરના એરપોર્ટ પર આ મેગા ડિમોલેશન માટે એએમસીના ઉત્તર ઝોનના ડીવાયએમસીએ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરને આ ફાઇલ મંજૂરી માટે મોકલી આપી છે. તમામ પ્રકારની મંજૂરી મળ્યાં બાદ આગામી ટૂંક સમયમાં મેગા ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરાશે. આ સાથે જ એવી માહિતી પણ સામે આવી છે કે જે લોકોના આ 210 મકાનો તોડી પાડવામાં આવશે તેમને તંત્ર તરફથી કોઇ પણ પ્રકારનું વળતર અપાશે નહીં, કારણ કે આ તમામ બાંધકામો ગેરકાયદેસર રીતે ઉભા કરેલા છે.