ઈરાનમાં 2018ના હુમલા કેસમાં ઈસ્લામિક સ્ટેટના નવ આતંકવાદીઓને ફાંસી અપાઈ
ઈરાને 2018ના હુમલાના ગુનેગારો સામે કાર્યવાહી અંગે નિવેદન જારી કર્યું હતું. ઈરાને કહ્યું હતું કે હુમલા બાદ અટકાયત કરાયેલા ઈસ્લામિક સ્ટેટ જૂથના નવ આતંકવાદીઓને ફાંસી આપવામાં આવી છે. ઈરાની ન્યાયતંત્રની સમાચાર એજન્સીએ ફાંસી આપવાની જાહેરાત કરી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે ઈરાનના અર્ધલશ્કરી દળ રિવોલ્યુશનરી ગાર્ડ સાથેની અથડામણમાં સામેલ થયા બાદ આતંકવાદીઓને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આમાં ત્રણ સૈનિકો માર્યા ગયા હતા.
ઈસ્લામિક સ્ટેટે 2014માં ખિલાફત હેઠળ ઈરાક અને સીરિયાના મોટા વિસ્તાર પર કબજો કર્યો હતો. અમેરિકાના નેતૃત્વ હેઠળના દળો દ્વારા તેનો પરાજય થયો હતો. 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા પશ્ચિમી સમર્થિત સરકારના પતન પછી ઈસ્લામિક સ્ટેટની તાકાતમાં વધારો થયો છે. ઈસ્લામિક સ્ટેટે અગાઉ જૂન 2017માં તેહરાનમાં સંસદ અને આયતુલ્લાહ રુહોલ્લાહ ખોમેનીના મકબરા પર થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી હતી. આમાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા હતા અને 50 થી વધુ ઘાયલ થયા હતા. ઈસ્લામિક સ્ટેટે ઈરાનમાં અન્ય હુમલાઓની જવાબદારી પણ સ્વીકારી છે. આમાં 2024 માં થયેલા બે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટનો સમાવેશ થાય છે. જે 2020 માં યુએસ ડ્રોન હુમલામાં માર્યા ગયેલા ઈરાની જનરલની યાદમાં કરવામાં આવ્યા હતા. તે હુમલામાં ઓછામાં ઓછા 94 લોકો માર્યા ગયા હતા.
માર્ચમાં ઇસ્લામિક સ્ટેટના વડા અબ્દુલ્લા માકી મોસલેહ અલ-રિફાઇનું મોત થયું હતું. ઇરાકી વડા પ્રધાન મોહમ્મદ શિયા અલ-સુદાનીએ શુક્રવારે આ દાવો કર્યો હતો. તેમણે જાહેરાત કરી હતી કે ઇસ્લામિક સ્ટેટના વડા અબ્દુલ્લા માકી મોસલેહ અલ-રિફાઇ માર્યા ગયા છે. ઇરાકમાં એક મજબૂત ઝુંબેશ ચલાવવામાં આવી હતી અને આ દરમિયાન તે માર્યો ગયો હતો. અબ્દુલ્લા માકી મોસલેહ અલ-રિફાઇ 'અબુ ખાદીજા' તરીકે પણ જાણીતા હતા.