ભાભર-રાધનપુર નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડાને લીધે વાહનચાલકો પરેશાન
- ખાડાઓમાં વરસાદી પાણી ભરાયેલા હોવાથી અનેક ટુ વ્હીલરચાલકો પટકાયા છે,
- હાઈવે ઓથોરિટીના અધિકારીઓની નિષ્ક્રિયતા સામે રોષ,
- ડીસા -પાલનપુર હાઇવે ઉપર સર્વિસ રોડને પદયાત્રીઓ માટે મરામત કરાયો
પાલનપુરઃ ચોમાસાના વરસાદને લીધે રાજ્યભરના નેશનલ અને સ્ટેટ હાઈવેની હાલત બદતર બની છે. હાઈવે પર ઠેર ઠેર ઊંડા ખાડા પડી ગયા હોવા છતાંયે ખાડા પૂરવામાં આવતા નથી. અને તેથી વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. જિલ્લાના ભાભર રાધનપુર નેશનલ હાઇવે ઉપર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે વાહનચાલકોને હાઇવે પરથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે. આ ખાડાઓમાં વરસાદી પાણી ભરાયેલા હોવાથી અનેક ટુ વ્હીલર ચાલકોને ખાડામાં પટકાઇ અકસ્માતનો ભોગ બને તેવી દહેશત સેવાઇ રહી છે.
ભાભર રાધનપુર નેશનલ હાઇવે ઉપર ભાભરથી ગોસણ ગામ સુધી વરસાદના કારણે મોટા મોટા ખાડાઓ પડી ગયા છે પરંતુ જવાબદાર તંત્ર દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી રોડને મરામત કરવામાં આવતો નથી.જેના કારણે વાહન ચાલકો ખૂબજ પરેશાન થઇ ગયા છે. હાલમાં પરિસ્થિતિ એવી ઉદભવી છે કે પાણીથી ભરાયેલા આ ખાડાઓમાં જો કોઇ ટુ વ્હીલર ચાલક પટકાય તો ગંભીર અકસ્માતનો ભોગ બની શકે છે.આથી નેશનલ હાઇવે ઓથોરીટીના જવાબદાર અધિકારીઓ તાત્કાલિક હાઇવેનું રીપેરીંગ કરાવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.
જ્યારે ડીસા -પાલનપુર હાઇવે ઉપર આઇઓસી પેટ્રોલ પંપથી ભોયણ સુધીનો સર્વિસ રોડ ભૂગર્ભ ગટર માટે ખોદયા બાદ સમારકામ વિના એમ જ છોડી દેવાયો હતો.રોડ તૂટેલી હાલતમાં હોવાથી હાલમાં અંબાજી જતાં પદયાત્રીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. અને યાત્રાળુઓને હાઈવે પર ચાલવાની ફરજ પડી હતી.આખરે ડીસા નગર પાલિકા દ્વારા તાત્કાલીક નવા રોડની કામગીરી હાથ ધરી ડામરકામ પણ પૂર્ણ કર્યુ છે. જેના પગલે રોડ પરથી પસાર થતાં વાહન ચાલકો સહીત રાહદારીઓની મુશ્કેલી દુર થઇ છે.