અમદાવાદમાં આજથી કૂબેરનગર ITI અન્ડરપાસ પખવાડિયા માટે બંધ કરાયો
- વાહનો નરોડા પાટિયાથી કુબેરનગર અને રેલવે ઓવરબ્રિજથી જઈ શકાશે.
- એરપોર્ટ જવા 30 મિનિટ વહેલા નીકળવું પડશે,
- અન્ડર બ્રિજનું મરામતનું કામ હાથ ધરાયું
અમદાવાદઃ શહેરના નરોડા ખાતેના કુબેરનગર ITI અંડરપાસના મરામતની કામગીરી કરવાની હોવાથી અંડરપાસ આજથી પખવાડિયા માટે બંધ કરાયો છે. જેથી નરોડા, નિકોલ અને પૂર્વ વિસ્તારથી એરપોર્ટ તરફ જનારા લોકોએ વૈકલ્પિક માર્ગ તરીકે નરોડા પાટિયાથી કુબેરનગર થઈ અથવા નરોડા રેલવે ઓવરબ્રિજથી ટોયેટા શોરૂમ થઈ કોતરપુર થઈને એરપોર્ટ તરફ જઈ શકાશે. શહેરના પૂર્વ વિસ્તારના લોકોએ અંડર પાસ બંધ થયો હોવાના કારણે અંદાજે બેથી ત્રણ કિલોમીટર ફરીને એરપોર્ટ અને ઇન્દિરાબ્રિજ તરફ જવું પડશે. ટ્રાફિકની સમસ્યા પણ વધુ હોવાથી એરપોર્ટ જનારા લોકોએ 30 મિનિટથી એક કલાક વહેલું જવું પડશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના ઉત્તર ઝોનમાં આવેલા શ્રીમદ રાજચંદ્ર અન્ડરપાસ (કુબેરનગર ITI અંડરપાસ)ને મરામત કરવાની જરૂરિયાત હોવાથી ચાલુ કામ દરમિયાન કોઈ અકસ્માત ન થાય તથા સુચારૂરૂપે ટ્રાફિક ચાલે તેના માટે અંડરપાસને બંધ કરવામાં આવશે. 8 મેથી 15 દિવસ સુધી એટલે 22 મે સુધી અથવા મરામતની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અવરજવર માટે અન્ડરબ્રિજ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. જેથી વાહનચાલકો વૈકલ્પિક માર્ગ તરીકે ગેલેક્ષી ચાર રસ્તાથી નરોડા રેલવે ઓવરબ્રિજ ટોયોટા શોરૂમ થઇ કોતરપુર ટર્નીંગ થઈ જઈ શકશે. તેમજ અન્ય વૈકલ્પિક માર્ગ તરીકે નરોડા પાટીયાથી કુબેરનગર ક્રોસિંગ થઈ માયા સિનેમા થઈ કોતરપુર ટર્નીંગ તરફ થઈને એરપોર્ટ તરફ જવાનું રહેશે.
શહેરના કૂબેરનગર આઈટીઆઈ અન્ડપાસથી ખૂબ મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે. ત્યારે હવે અન્ડરબ્રિજ બંધ કરવામાં આવતા 15 દિવસ માટે વૈકલ્પિક માર્ગ ઉપર ખૂબ ટ્રાફિક વધશે. વૈકલ્પિક માર્ગ માયા સિનેમા તરફ જવાના રોડ ઉપર રેલવે ક્રોસિંગ પણ આવેલું છે જેથી ત્યાં ટ્રાફિકની સમસ્યા ખૂબ વધારે થઈ શકે છે. વૈકલ્પિક રોડ પર ટ્રાફિકની સમસ્યા ન થાય તેના માટે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક પોઇન્ટ પર કર્મચારીઓ હાજર રાખવામાં આવે જેથી ટ્રાફિકની સમસ્યા ના થાય તેવી સ્થાનિક લોકોની માંગણી છે.