જમ્મુ-કાશ્મીરઃ બાંદીપોરામાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર માર્યાં
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેઝ સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર ઘુસણખોરી કરવાનો પ્રયાસ સેનાએ ગુરુવારે નિષ્ફળ બનાવી દીધો, જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. અધિકારીઓએ જણાવ્યું કે ગુરેઝ સેક્ટરના નવશેરા નાર્દ પાસે ઘુસણખોરીના પ્રયાસ દરમિયાન બે આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા છે અને વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.
25 ઓગસ્ટે સંયુક્ત દળોએ બારામુલાના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ઘુસણખોરીનો એક પ્રયાસ નિષ્ફળ કર્યો હતો. ઉરી સેક્ટરના તોરાણા વિસ્તારમાં આતંકવાદીઓએ ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે નિયંત્રણ રેખા પર તૈનાત સૈનિકોએ શંકાસ્પદ હલચલ જોઈ હતી. ઘુસણખોરોને ચેતવણી આપવામાં આવી, ત્યારબાદ બંને બાજુ થોડોક સમય ગોળીબારી થઈ, બાદમાં વિસ્તારમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરાયું. જેથી કોઈ આતંકવાદી નિયંત્રણ રેખા પાર કરીને ભારતીય સીમામાં પ્રવેશી ન શકે. તે જ રીતે, 13 ઓગસ્ટે ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક સેનાની અથડામણમાં એક જવાન શહીદ થયો હતો, જ્યારે આતંકવાદીઓ ભારતીય સીમામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
જમ્મુ-કાશ્મીરમાં સંયુક્ત દળોએ આતંકવાદ સામે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે, જેમાં આતંકીઓ, તેમના સાગરિતો (OGW) અને સમર્થકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ અભિયાનોનો હેતુ માત્ર હથિયારબંદ આતંકીઓને ખતમ કરવાનો નથી, પરંતુ આખી આતંકવાદી રચનાને ધ્વસ્ત કરવાનો છે. ઉપરાજ્યપાલ મનોજ સિંહા નિયમિત રીતે સુરક્ષા સમીક્ષા બેઠક કરી રહ્યા છે, જેમાં તેમનું ધ્યાન આતંકવાદના આખા માળખાને તોડવા પર છે. હવાલા નાણાં રેકેટ, ડ્રગ્સની તસ્કરી અને નશીલા પદાર્થોના ધંધા પર પણ સંયુક્ત દળોની કડી નજર છે, કારણ કે સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે આમાંથી મળતા પૈસા આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે વપરાય છે.
ગુપ્તચર એજન્સીઓ અને સુરક્ષા દળોએ અનેક હવાલા રેકેટ અને ડ્રગ્સ તસ્કરીના નેટવર્ક પકડી પાડ્યા છે, જેમના તાર સરહદ પાર બેઠેલા આતંકી સરગનાઓ સાથે જોડાયેલા હતા. તેથી જ સંયુક્ત દળો હવાલા રેકેટ અને ડ્રગ્સ તસ્કરી જેવી પ્રવૃત્તિઓને પ્રાથમિકતા સાથે નિશાન બનાવી રહ્યા છે, સાથે જ હથિયારોનો ઉપયોગ કરતા આતંકીઓને પણ ઠાર કરી રહ્યા છે.