મને વિશ્વાસ નથી થતો કે હું કેવી રીતે જીવિત બહાર નીકળ્યો, પ્લેન દૂર્ઘટનામાં બચી ગયેલા પ્રવાસીએ જણાવી આપવીતિ
અમદાવાદ: શહેરના મેઘાણીનગર વિસ્તારમાં અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ દુર્ઘટનાનો ભોગ બની હતી. આ દૂર્ઘટનામાં ફ્લાઈટમાં સવાર 242 પ્રવાસી પૈકી 241 પ્રવાસીઓના મોત થયાં છે. જ્યારે એક પ્રવાસીનો ચમત્કારિક બચાવ થયો છે. અમદાવાદની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દૂર્ઘટનામાં બચી ગયેલા ઈજાગ્રસ્ત વિશ્વાસ રમેશ નામના પ્રવાસીને મળ્યાં હતા. તેમજ તેમના ખબરઅંતર પૂછ્યાં હતા. દરમિયાન વિશ્વાસ રમેશે જણાવ્યું હતું કે, ટેક ઓફના લગભગ એક મિનિટ બાદ એવું લાગ્યું કે સ્ટક થઈ ગયું, પછી પ્લેનમાં ગ્રીન અને વ્હાઈટ લાઈટ ઓન થઈ ગયા બાદ તે સ્પીડમાં જ ઘૂસી ગયું હતું. મને પોતાને વિશ્વાસ થતો નથી કે હું કેવી રીતે તેમાંથી જીવિત બહાર નીકળ્યો.
ડીડી ન્યૂઝ સાથેની વાતચીતમાં વિશ્વાસ રમેશે જણાવ્યું હતું કે, આ બધું મારી નજર સામે બન્યું હતું. મને પોતાને વિશ્વાસ થતો નથી કે હું કેવી રીતે તેમાંથી જીવિત બહાર નીકળ્યો. થોડા સમય માટે તો મને પણ લાગ્યું હતું કે, હું પણ મરવાનો છુ. પરંતુ મારી આંખ ખીલી તો જોયું કે હું જીવિત હતો. મેં સીટ બેલ્ટ ખોલી બહાર નીકળવાની કોશિશ કરી અને હું બહાર નીકળી ગયો હતો. મારી નજર સામે એર હોસ્ટેસ અને અંકલ-આંટી બધા ભડથું થઈ ગયા હતા. હું જે બાજુ હતો, તે સાઈટ હોસ્ટેલ પર લેન્ડ નહોતી કરી. ગ્રાઉન્ડ ફ્લોર પર લેન્ડ થઈ હતી. બીજાની ખબર નથી, પણ હું જ્યાં લેન્ડ થયો હતો તે નીચેની બાજુ હતી. ત્યાં થોડોક સ્પેસ હતો. મેં જોયું કે અહીં થોડોક સ્પેસ છે, તો મે નીકળવા માટે પ્રયાસ કર્યો અને હું નીકળી ગયો. જ્યારે સામેની બાજુ બિલ્ડિંગની દિવાલ હતી, તો કદાચ ત્યાંથી કોઈ નીકળી શક્યું નહીં હોય. હું જ્યાં હતો ત્યાં જ થોડી જગ્યા હતી. હું ચાલીને આવ્યો. આગ લાગી તો મારો ડાબો હાથ પણ દાઝ્યો હતો. તે બાદ એમ્બ્યુલન્સ મને લઈને અહીં આવી હતી. અત્યારે અહીં મારી સારવાર સારી ચાલી રહી છે. અહીંના લોકો બહુ સપોર્ટીવ છે.