ગાંધીનગરમાં મીટરથી 24 કલાક પાણી આપવાની યોજના સામે વસાહત મહાસંઘનો વિરોધ
- ગાંધીનગર વસાહત મહાસંઘે આવેદનપત્ર આપીને રજુઆત કરી,
- સવારે ત્રણ કલાક પૂરતા ફોર્સથી નિયમિત પાણી આપવામાં આવે તે પર્યાપ્ત છે,
- પાણીના નળ પર લગાવેલા મીટરના મેઈન્ટેનન્સ ખર્ચાળ અને જટિલ છે,
ગાંધીનગરઃ શહેરમાં 24 કલાક મીટરથી પાણી આપવાની યોજનાનો વસાહત મહાસંઘ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. વસાહત સંઘ દ્વારા આવેદનપત્ર આપીને એવી રજુઆત કરવામાં આવી છે કે, મ્યુનિ કે પાટનગર યાજના દ્વારા મીટરથી 24 કલાક પાણી આપવાની આ સુવિધા માટે સર્વે પણ કરાયો નથી. અગાઉ કેટલાક વિસ્તારોમાં આ યોજનાનો અમલ નિષ્ફળ નિવડ્યો છે. ત્યારે નાગરિકોના સવારે પુરા ફોર્સથી ત્રણ કલાક અને સાંજે એક કલાક પાણી આપવામાં આવે તે જરૂરી છે.
ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ અને શહેરના નાગરિકોએ રાજ્ય સરકારની 24X7 પાણી વિતરણ પ્રથા અને પાણીના વપરાશ માટે મીટર લગાવવાના નિર્ણયનો સખત વિરોધ કર્યો છે. આ મુદ્દે ગાંધીનગર વસાહત મહાસંઘે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર સુપરત કરી તાત્કાલિક પુનર્વિચારણા કરવાની માંગ કરી છે. આ અંગે શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેસરીસિંહ બિહોલાએ જણાવ્યું કે, વસાહત મહાસંઘની બેઠકમાં નાગરિકોએ આ યોજના સામે અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતા.ગાંધીનગરને સ્માર્ટ સિટીની સિદ્ધિ પ્રાપ્ત કરવાના ઉદ્દેશમાં શહેરીજનોને 24×7 પાણી પૂરું પાડવું ફરજિયાત નથી, હાલ મૈસુર શહેર પાણી વોટર ઓફ મૈસુર તરીકે ઓળખાય છે.મૈસુર સીટી સહિત ભારતભરના કોઈ જ શહેરમાં આવી યોજના હાલ અમલમાં નથી. સરકાર દ્વારા આ સુવિધા માટે સર્વે પણ કરાયો નથી. શહેરીજનોને સવારે ત્રણ કલાક પૂરતા ફોર્સથી નિયમિત અને શુદ્ધ પાણી પૂરું પાડવાની સુવિધા પર્યાપ્ત છે તેમાં વધારો કરીને સાંજે 7 થી 8 એમ એક કલાક પાણી પુરવઠો પૂરો પડાય તેવી માંગ છે.
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, 24×7 કલાક પાણી વિતરણ તથા મીટર પ્રથાથી કરવામાં આવશે તો શહેરીજનોને અગામી સમયમાં સંભવિત ગંભીર સમસ્યાના ભયસ્થાનથી નારાજગી અને રોષની લાગણીનું ચોક્કસ પરિસ્થિતિનું નિર્માણ થશે. સેક્ટર-28 GIDCમાં હાલ પ્રાયોગિક ધોરણે અમલમાં રહેલ મીટર પ્રથા સદંતર નિષ્ફળ જઈ રહી છે, તેમજ ભૂતકાળમાં વિવિધ સેક્ટરમાં જેમકે સેક્ટર-21 તથા સેક્ટર-24માં નાખેલ મીટર પ્રથા પણ તદ્દન નિષ્ફળ ગઈ હતી. હાલની C.I. પાઇપ લાઇન ISI સ્ટાન્ડર્ડ મુજબ 100 વર્ષથી વધુ આયુષ્ય ધરાવે છે, આ પાઇપલાઇનમાં કોઈપણ જગ્યાએ ભંગાણ થાય તો માત્ર પંપીંગ સ્ટેશન ઉપરનો વાલ બંધ કરવો ફરજિયાત છે. કામચલાઉ ઇમરજન્સી માટે કોઈ જ વ્યવસ્થા થઈ નથી તે સબબ મોંઘા વાલ્વ નોનયુઝડ થઈ જશે.જે લાઈનમાંથી કનેક્શન Dia પ્રમાણે જોઈન્ટ આપેલ નથી તેમ જ જોઈન્ટમાં ચાપડા મારેલ છે જે ટેકનિકલી યોગ્ય નથી જે જોઈન્ટ Tથી થવા જોઈએ તેવું સૂચન છે.
તેમણે ઉમેર્યું કે ,મીટર લગાડવાની પ્રક્રિયામાં મીટર મેઈન્ટેનન્સ ખર્ચાળ અને જટિલ છે તથા મીટરના રીડિંગ મટીરીયલ્સ યોગ્ય ગુણવતા સિવાયના પ્લાસ્ટિકના છે. જે સતત પાણીના કારણે વારંવાર બંધ પડવા કે બગડવાની સમસ્યા રહેશે.વિશેષમાં મકાનોના ગટર કનેક્શન માટે હયાત પાઇપ લાઇન મુખ્ય ચેમ્બર સાથે જોડાણ કરેલ છે તેમાં યોગ્ય લેવલ તથા યોગ્ય જાડાઈની ગુણવતા નહીં જળવાતા તેમજ ગલી ટ્રેપનું પ્રોવિઝન ન હોવાથી ગટરનું પાણી ઘરમાં બેક મારવાની સમસ્યાની સંભાવના ખૂબ જ વધી જશે.