For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતઃ હસ્તકલાના 24 હજારથી વધુ કારીગરોએ ત્રણ વર્ષમાં રૂ.124 કરોડની કમાણી કરી

05:12 PM Jun 03, 2025 IST | revoi editor
ગુજરાતઃ હસ્તકલાના 24 હજારથી વધુ કારીગરોએ ત્રણ વર્ષમાં રૂ 124 કરોડની કમાણી કરી
Advertisement

ગાંધીનગરઃ રાજ્યમાં શહેરી-ગ્રામીણ યુવાનોને વધુને વધુ રોજગારી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 1992થી કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગના નેજા હેઠળ ‘ઇન્ડસ્ટ્રિયલ એક્સટેન્શન કોટેજ’ એટલે કે ઈન્ડેક્ષ્ટ-સીની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને કુટિર-ગ્રામોદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના નેતૃત્વમાં ઈન્ડેક્ષ્ટ-સી દ્વારા વર્ષ 2022-23, વર્ષ 2023-24 અને વર્ષ 2024-25 એમ છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 234 મેળા-પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રણ વર્ષમાં વિવિધ મેળા-પ્રદર્શનના માધ્યમથી હાથશાળ-હસ્તકલાનાં બધા થઈને કુલ 24689 જેટલા કારીગરો દ્વારા રૂ.124 કરોડ કરતાં વધુ કિંમતની વિવિધ વસ્તુઓનું ગુજરાત સહિત દેશભરમાં વેચાણ કરવામાં આવ્યું છે.

Advertisement

આ મેળા-પ્રદર્શન પૈકી ગુજરાતમાં કાર્યરત ઇન્ડેક્ષ્ટ-સી, અમદાવાદ હાટ, ભુજ હાટ અને બોપલ હસ્તકલા હાટ દ્વારા કુલ 205 મેળા-પ્રદર્શનનું આયોજન કરી હાથશાળ-હસ્તકલાનાં અંદાજે કુલ 21318 જેટલા કારીગરો થકી રૂ. 99 કરોડ કરતાં વધુની કિંમતની વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે રાજ્ય બહાર કુલ 29 મેળા-પ્રદર્શન થકી હાથશાળ-હસ્તકલાનાં અંદાજે કુલ 3380 જેટલા કારીગરો દ્વારા રૂ. 25.87 કરોડ કરતાં વધુની કિંમતની વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું હતું.

સમાજના દરેક વ્યક્તિને પોતાનામાં રહેલી કુશળતાઓનો ઉપયોગ કરવાની તક મળે અને માનવીય મોભાથી જીવી શકે તેવા હેતુસર ગુજરાત સરકારે હાથશાળ-હસ્તકલા અને ખાદી ગ્રામોદ્યોગને લગતી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કારીગરોના આર્થિક ઉત્કર્ષ માટે વિવિધ પ્રયત્નો હાથ ધર્યા છે. જે અંતર્ગત કુટિર અને ગ્રામોદ્યોગ સંસ્થાઓના કારીગરો મારફતે તૈયાર કરાયેલી વસ્તુઓના વેચાણ માટે માર્કેટિંગ પ્લેટફોર્મ મળી રહે તેમજ કુટિર ઉદ્યોગ સાથે સંકળાયેલ કારીગરોના આર્થિક ઉત્કર્ષ સાથે સામાજિક દરજજામાં વધુને વધુ સુધારો થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સતત નવીન પ્રોજેક્ટસ અને યોજનાઓનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.

Advertisement

ઈન્ડેક્ષ્ટ-સી દ્વારા હાથશાળ-હસ્તકલાનાં કારીગરોના ઉત્થાન માટે કારીગરની ઓળખ કરી આર્ટીઝન કાર્ડ આપવા, કારીગરો દ્વારા ઉત્પાદિત ચીજ-વસ્તુઓના વેચાણ માટે માર્કેટિંગ પ્લેટફોર્મ પુરૂ પાડવા મેળા-પ્રદર્શન યોજવા તેમજ કાયમી હાટ સ્થાપવા, કારીગરોને રાજ્ય સન્માન અને પારિતોષિત આપવા, વંશપરંપરાગત કુશળ કારીગરોનાં સ્કિલ ડેવલપમેન્ટ માટે તાલીમ આપવી તેમજ ટૂલ કીટ વિતરણ જેવા અનેકવિધ કાર્યો કરવામાં આવે છે.

‘GI’ ટેગ પ્રાપ્ત ગુજરાતનાં હાથશાળ-હસ્તકલા ઉત્પાદનો
આપણું રાજ્ય જીવંત સંસ્કૃતિ, સમૃદ્ધ પરંપરાઓ અને વૈવિધ્યસભર કારીગરી માટે ખૂબ જાણીતું છે, જ્યાં તેના ઇતિહાસ અને વારસાને રજૂ કરતી અનેક અનોખી વસ્તુઓ બનાવવામાં આવે છે. જે અંતર્ગત હાથશાળ-હસ્તકલાના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલ સંખેડાનું ફર્નિચર, કચ્છની એમ્બ્રોડરી, ટાંગલીયા શાલ, સુરતનું ઝરીકામ, જામનગરી બાંધણી, કચ્છની શાલ, પાટણના પટોળા, વરલીની ચિત્રકળા, પીઠોરા, માતાની પછેડી, કચ્છની રોગન ક્રાફ્ટ, કચ્છની બાંધણી, ઘરચોળું, ગુજરાત સુફ ભરતકામ, અમદાવાદના સોદાગરી બ્લોક પ્રિન્ટ, સુરતની સાડેલી ક્રાફ્ટ, ભરૂચની સુજની અને કચ્છની અજરખ જેવી હાથશાળ-હસ્તકલા વસ્તુઓ સહિત વિવિધ કુલ 28 ઉત્પાદનોને રાજ્ય સરકાર દ્વારા ‘GI’ ટેગ આપવામાં આવ્યા છે. આમ, આ ઉત્પાદનોને પ્રતિષ્ઠિત ‘GI’ ટેગ મળવાથી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન તેમજ કારીગરોને વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે.

આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા હાથશાળ-હસ્તકલાના કારીગરોને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર વર્ષ 2023માં ગુજરાતના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિવિધ 11 કારીગરોને ક્રાફટવાઇઝ એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ હાટ, ભૂજ હાટ તેમજ બોપલ-અમદાવાદ હાટ ખાતે તેમજ રાજ્ય બહાર મૈસુર-કર્ણાટક, હૈદરાબાદ-તેલંગણા, પ્રયાગરાજ-ઉત્તરપ્રદેશ, ભોપાલ-ઇન્દોર, દિલ્હી, મુંબઇ, રાજસ્થાન વગેરે રાજ્યોમાં ગુજરાતની હાથશાળ-હસ્તકલાના બહોળા પ્રમાણમાં પ્રચાર-પ્રસાર કરવા મેળા-પ્રદર્શન-ઉત્સવો યોજવામાં આવે છે. આ ઉપરાંત ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા વડોદરા, સિદ્ધપુર, રાજકોટ ખાતે કાયમી હાટની સ્થાપના તેમજ સુરત ખાતે પી.એમ.એકતા મોલ શરૂ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઈન્ડેક્ષ્ટ-સી દ્વારા હાથશાળ-હસ્તકલાના કારીગરો પોતાની ઉત્પાદિત ચીજ-વસ્તુઓ ગ્રાહકોને સીધુ વેચાણ કરી શકે તે માટે રાજ્યના વિવિધ શહેરો તથા ગુજરાત બહારના અન્ય રાજ્યોમાં માર્કેટિંગ પ્લેટફોર્મ પૂરું પાડવા મેળા-પ્રદર્શનો યોજવામાં આવે છે. આ પ્રદર્શન-સહ-વેચાણ મેળામાં રાજ્યના અંતરિયાળ ગામોનાં હસ્તકલા-હાથશાળ, કુટિર અને ગ્રામોદ્યોગની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતા કારીગરો દ્વારા રાજ્યના ભવ્ય, ભાતિગળ અને વૈવિધ્યપૂર્ણ કલા-વારસાની હસ્તકલાને ઉજાગર કરવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement