બાળકોમાં વધતુ જતું મોબાઈલ ફોનનું વળગણ, સૌરાષ્ટ્ર યુનિના સાયકોલોજિસ્ટ્સ કાઉન્સેલિંગ કરશે
- તાજેતરમાં અમરેલી અને ડીસામાં બાળકોએ બ્લેડથી હાથમાં કાપા માર્યા હતા
- ઘણા બાળકો મોબાઈલ ફોનમાં સૌથી વધુ ગેમ રમતા હોય છે
- વાલીઓ જ બાળકોને મોબાઈલ પકડાવી દેતા હોય છે
અમદાવાદઃ આજકાલ બાળકોમાં મોબાઈલ ફોનનું વલગણ વધતું જાય છે. માતા-પિતા પણ પોતાના બાળકોને મોબાઈલ ફોન પકડાવી દેતા હોય છે. મોબાઈલમાં જુદી જુદી ગેમના ગવાડે બાળકો ચડી જતા હોય છે. તેના લીધે બાળકોના માનસ પર અસર થતી હોય છે. તાજેતરમાં અમરેલીના બગસરા અને ડીસામાં મોબાઈલ ગેમના રવાડે ચડેલા બાળકોએ શરત લગાવીને પોતાના હાથ પર બ્લેડના કાપા માર્યા હતા. મોબાઈલ ફોનનું દૂષણ બાળકોના કુમળા મનને કેવી અસર કરે છે, જે આના પરથી ફલિત થાય છે. ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનો વિજ્ઞાન ભવનના પ્રોફેસરોએ બાળકોમાં મોબાઈલ ફોનનું વળગણ દૂર કરવા માટે બાળકો અને તેના વાલીઓ સાથે કાઉન્સેલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
આ સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પહેલ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા પ્રાથમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સાથે એમઓયુ કરવામાં આવશે. સરકારી તેમજ ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ કરવામાં આવશે. તેમજ જરૂર જણાય તો વિદ્યાર્થીઓના માતા-પિતાનું પણ કાઉન્સિલિંગ શાળા ખાતે બોલાવીને કરવામાં આવશે. બાળકોમાં મોબાઇલના વળગણ સહિતની જે કુટેવો જોવા મળી રહી છે તે તમામ કુટેવો કઈ રીતે દૂર કરી શકાય તે સહિતની માહિતી મનોવિજ્ઞાન ભવન દ્વારા આપવામાં આવશે.
આ અંગે સૌરાષ્ટ્ર યુનિના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ મોબાઇલ ગેમ રમતા રમતા પોતાના જીવને જોખમમાં મુકવાની કોશિશ કરી છે. માસ હોસ્ટેરિયાની આ ઘટનાને લઇ બાળકો તેમજ તેમના વાલીઓમાં જાગૃત આણવી જરૂરી છે. વાલીઓ દ્વારા ખાસ કરીને બાળકની સંભાળ રાખવી, શરીર ઉપરના ઇજાઓ કેવી રીતે થઈ? તે સહિતની બાબતો અંગે બાળકોને વિશ્વાસમાં લઈ તેમની પૂછપરછ કરવી જોઈએ. બાળકો આ પ્રકારની પ્રવૃત્તિ ન કરે તે માટે તેમના વાલીઓ દ્વારા તકેદારી પણ રાખવી જોઈએ.