For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કચ્છના નાના રણમાં નર્મદાના મીઠા પાણીથી ઘૂડસર અભ્યારણ્યને જોખમ

05:06 PM Jun 06, 2025 IST | revoi editor
કચ્છના નાના રણમાં નર્મદાના મીઠા પાણીથી ઘૂડસર અભ્યારણ્યને જોખમ
Advertisement
  • ધૂડસર અભ્યારણ્યમાં શિકારી પક્ષીઓની સંખ્યામાં ઘટાડો,
  • ઘૂડખરો નર્મદાના મીઠા પાણીથી ટેવાઇ ગયા, પણ મીઠા પાણી બંધ થશે તો મુશ્કેલી
  • નર્મદા વિભાગ દ્વારા વધારાનું પાણી રણ વિસ્તારમાં છોડાતુ હોવાનો આક્ષેપ

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ખારાઘોડ, પાટડી સહિત કચ્છના નાના રણ તરીકે ઓળખાતો અફાટ રણ વિસ્તાર આવેલો છે. રણ વિસ્તારમાં મીઠુ પકવીને અગરિયાઓ રોજગારી મેળવતા હોય છે. રણમાં ઘૂડસર અભ્યારણ્ય પણ આવેલું છે. આમ તો રણ વિસ્તાર ખારોપટ્ટ ગણાય છે. પણ નર્મદાની કેનાલમાંથી વધારાનું પાણી રણ વિસ્તારમાં છોડાતું હોવાથી નર્મદાના મીઠા પાણીના આગમનથી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. 4954 ચો.કિ.મી. વિસ્તારમાં ફેલાયેલા ઘૂડખર અભયારણ્યની પરિસ્થિતિ ચિંતાજનક બની છે. નર્મદાના પાણીથી રણમાં કરોડીયા સંપૂર્ણપણે સાફ થઈ ગયા છે. આના કારણે શિયાળામાં આવતા શિકારી પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.

Advertisement

કચ્છના નાના રણમાં ઘૂડસર અભ્યારણ્યમાં ખારા પાણીની આદત ધરાવતા ઘૂડખરો માટે પણ મીઠાપાણીની સ્થિતિ જોખમી બની છે. 2024ની ગણતરી મુજબ 7672 ઘૂડખરો અભયારણ્યમાં નોંધાયા છે. હાલ ઘૂડસરો મીઠા પાણીથી ટેવાઈ ગયા છે. જો ભવિષ્યમાં નર્મદાનું પાણી બંધ થશે, તો ઘૂડખરોમાં ડિહાઇડ્રેશન સહિતની બીમારીઓનું જોખમ વધવાની શક્યતા છે. 1973માં સ્થાપિત આ અભયારણ્ય વિશ્વમાં એકમાત્ર સ્થળ છે જ્યાં રણના પવનવેગી દોડવીર ઘૂડખર જોવા મળે છે. છેલ્લા 4-5 વર્ષથી નર્મદાના પાણીની આ સમસ્યાએ અભયારણ્યની ઇકોસિસ્ટમને અસર કરી છે. આ પરિસ્થિતિની અસર મીઠા ઉત્પાદન પર પણ પડી છે. 1872થી રણમાં મીઠું પકવતા અગરિયાઓના 150થી વધુ મીઠાના પાટા બંધ થયા છે. દેગામ અને સવલાસ જેવા વિસ્તારોમાં અગરિયાઓને પરિવાર સાથે સ્થળાંતર કરવાની ફરજ પડી છે. જો આ પરિસ્થિતિ યથાવત રહેશે, તો આ વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન સ્થળનું અસ્તિત્વ જોખમમાં મુકાશે.

સૂત્રોના કહેવા મુજબ  રણ વિસ્તારમાં  બજાણા ટૂંડી તળાવ, પુમ્બ બેટ, નળાબેટ અને સૂરજબારીની ખાડીમાં મળીને 2થી 3 લાખ જેટલા વિક્રમજનક પક્ષીઓ નોંધાયા છે. રણકાંઠામાંથી પસાર થતી માળીયા શાખા કેનાલનું પાણી ફક્ત પીવાના પાણી માટે જ ઉપયોગમાં લેવાય છે. છેક માળીયા સુધી આ પાણી ન પહોંચતા નર્મદા વિભાગ દ્વારા છોડવામાં આવતું વધારાનું પાણી કેનાલમાં ગંદકી અને ઢાળવાળી કેનાલના લીધે કેનાલ પરથી ઓવરફ્લો થયેલું પાણી રણમાં બેરોકટોક વેડફાય છે. છેલ્લા ચાર પાંચ વર્ષથી રણમાં આવતુ નર્મદાનું પાણી ખારા પાણીમાં મિશ્ર થતાં ઘૂડખરો પણ નર્મદાના મીઠા પાણી પીવાથી ટેવાઇ ગયા છે અને જો ભવિષ્યમાં રણમાં નર્મદાનું પાણી બંધ થાય તો રણની ધરતીના ધબકાર સમા ઘૂડખરને પણ જીવલેણ ખતરો ઊભો થવાની શક્યતા નકારી ન શકાય.

Advertisement

Advertisement
Tags :
Advertisement