અમદાવાદમાં સાબરમતી નદીમાં પૂર, રિવરફ્રન્ટનો વોકવે પાણીમાં ગરકાવ
- આજે મંગળવારે ધરોઈ ડેમમાંથી 51848 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું,
- નદીકાંઠાના ગામોના લોકોને એલર્ટ કરાયા
- ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ
અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી પૂરની સ્થિતિ સર્જાતા તંત્ર એલર્ટ બન્યુ છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીની આવક સતત વધી રહી છે. ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા સાબરમતી રિવરફ્રન્ટ સંપૂર્ણપણે છલકાઈ ગયો છે. આ કારણે રિવરફ્રન્ટના લોઅર પ્રોમિનાડ અને વોક-વે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં બે દિવસથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. આજે મંગળવારે સવારે છ વાગ્યે ધરોઈ ડેમમાંથી 51848 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે, જેના પગલે સાબરમતી નદીમાં પાણીનું સ્તર ખૂબ વધ્યું છે. સંત સરોવર ડેમમાંથી પણ 94056 પાણી છોડવામાં આવ્યું છે, જેથી સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. સાબરમતી નદીમાં છોડવામાં આવેલા પાણીના પગલે અમદાવાદ શહેરના 19 વિસ્તારો અને જિલ્લાના 133 ગામોને એલર્ટ કરાયા છે વાસણા બેરેજના 30 માંથી 27 ગેટ ફ્રી ફ્લો ખોલી નાખવામાં આવ્યા છે. હાલમાં વાસણા બેરેજમાંથી 94,056 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવક વધતા વાસણા બેરેજની સપાટી 131 ફૂટ સુધી પહોંચી ગઈ છે અને સુભાષ બ્રિજ પાસે નદીનું લેવલ 43.65 મીટર પર પહોંચ્યું છે. આ પરિસ્થિતિને કારણે સુભાષ બ્રિજ ખાતે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ 2 અને ફેઝ 3 ના ચાલુ વિકાસ કાર્યોમાં પણ વિલંબ થવાની શક્યતા છે.