ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, પાંચના મોત
• કારમાં સવાર પરિવાર લગ્નમાં હાજરી આપીને દિલ્હી જઈ રહ્યો હતો
• દૂર્ઘટનામાં એક સગીરા ગંભીર રીતે દાઝી ગઈ
લખનૌઃ ઉત્તર પ્રદેશના બુલંદશહેર જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુલ ઉપરથી પસાર થતી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમવતા પુલની દિવાલ સાથે કાર અથડાયા બાદ પલ્ટી ખાઈ ગઈ હતી. જે બાદ કારમાં ભીષણ આગ લાગી હતી. આ દૂર્ઘટનામાં કારમાં સવાર પાંચ વ્યક્તિઓ ભડથું થઈ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.
મળતી માહિતી મુજબ, જહાંગીરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જહાંગીરાબાદ-બુલંદશહેર રોડ પર ચાંદૌક ચારરસ્તા પાસે દૂર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર એક માસૂમ બાળકી સહિત કુલ પાંચ લોકો જીવતા બળી ગયા. જ્યારે, એક યુવતીની હાલત ગંભીર છે. કારમાં સવાર લોકો બદાયૂંમાં લગ્ન સમારંભમાં હાજરી આપીને દિલ્હી પરત ફરી રહ્યા હતા. કારના ચાલકે ઝોકુ આવી જતા આ દૂર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. આ દૂર્ઘટનામાં મોમિના, તનવીર, નિદા, જુબેર અલી અને જૈનુલનું મોત થયું હતું.જ્યારે ગુલનાજ નામની સગીરા ગંભીર રીતે દાઝી ગઈ હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાઈ હતી.