For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગરમાં પૂર્વ સૈનિકોના ધરણાં, વિધાનસભા તરફ કૂચ કરતા મામલો બિચક્યો

06:02 PM Aug 05, 2025 IST | Vinayak Barot
ગાંધીનગરમાં પૂર્વ સૈનિકોના ધરણાં  વિધાનસભા તરફ કૂચ કરતા મામલો બિચક્યો
Advertisement
  • માજી સૈનિકો સરકારી ભરતીમાં અનામતની માગ કરી રહ્યા છે,
  • ગાંધીનગરમાં માજી સૈનિકો 9 દિવસથી ધરણા કરી રહ્યા છે,
  • વિધાનસભા તરફ કૂચ કરતા રોકવા પોલીસે બેરિકેડ્સ લગાવ્યા

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે પૂર્વ સૈનિકો સરકારી નોકરીમાં ભરતી માટે અનામતની માગ માટે છેલ્લા 9 દિવસથી ધરણા કરી રહ્યા છે. પૂર્વ સૈનિકોની માગણી છે કે સરકારી ભરતીમાં પૂર્વ સૈનિકોને અનામત બેઠક અન્ય કોઈ કેટેગરીમાં ન આપવામાં આવે. સરકાર તરફથી વાટાઘાટો કે બાંયધરી ન મળતાં પૂર્વ સેનિકોએ આજે વિધાનસભા તરફ કૂચ કરતા પોલીસે બેરિકેટ્સ લગાવી દેતા પૂર્વ સૈનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

Advertisement

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે પૂર્વ સૈનિકો છેલ્લા 9 દિવસથી ધરણાં કરી રહ્યા છે. પૂર્વ સૈનિકો સરકારી ભરતીમાં અનામત બેઠક અન્ય કોઈ કેટેગરીમાં આપવામાં ન આવે તેવી માગ કરી રહ્યા છે.  આજે 300 જેટલા માજી સૈનિકો એકઠા થયા હતા. પૂર્વ સૈનિકોની  ચીમકીને પગલે સવારથી જ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આજે બપોર સુધીમાં સરકાર તરફથી કોઈ હકારાત્મક જવાબ ન મળતાં પૂર્વ સૈનિકોએ વિધાનસભા તરફ કૂચ કરી હતી. દરમિયાન પોલીસે બેરિકેડિંગ તેમજ નાકાબંધી કરી હોવા છતાં માજી સૈનિકોએ આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું. આ દરમિયાન પોલીસ અને માજી સૈનિકો વચ્ચે ઘર્ષણનાં દૃશ્યો સર્જાયાં હતાં. પોલીસ દ્વારા રાખવામાં આવેલાં બેરિકેડિંગ હટાવીને માજી સૈનિકો વિધાનસભા તરફ વધી રહ્યા હતા. આ સમયે પોલીસ સાથે ઉગ્ર ઘર્ષણ થયું હતું. પોલીસે માજી સૈનિકોને ડિટેઇન કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. માજી સૈનિકોએ પોલીસની વાનને રોકી દઈને પોતાના સાથીદારોને છોડાવવાની પેરવી કરી હતી. પોલીસે માજી સૈનિકોને ઘ-3 સર્કલ નજીક રોકી દીધા છે.

માજી સૈનિકોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. તેમની મુખ્ય માગણી છે કે સરકારી ભરતીમાં તેમની અનામત બેઠકો અન્ય કેટેગરીમાં ન આપવામાં આવે. આ અંગે નિર્ણય કરવા માટે તેમણે સરકારને આજે સોમવાર સુધીનું અલ્ટિમેટમ પણ આપ્યું હતું. આ અંગે પૂર્વ સૈનિક સેવા ફાઉન્ડેશનના પ્રમુખ જિતેન્દ્ર નિમાવતે કહ્યું હતું કે છેલ્લા આઠ દિવસથી અમે ધરણાં પર બેઠા છીએ. જે ગુજરાત સરકારમાં માજી સૈનિકોની અનામત છે અને અન્ય બીજા અન્ય મુદ્દાઓ છે એ મુદ્દાઓનું ઓલરેડી નિયમ બનેલો છે, છતાં પણ આ મુદ્દાઓનું નિયમોમાં પાલન જ નથી થતું. એની અમલવારી માટે અહીં ધરણાં પર બેઠા છીએ. આજે 9 દિવસ થઈ ગયા પણ સરકારનો એકપણ પ્રતિનિધિ અહીં અમારી સાથે વાતચીત કરવા આવ્યો નથી. અમે સામેથી વારંવાર વાતચીત કરવા જઈએ છીએ, પણ કહેવાય કે એ ફાઈલ અધિકારીને  મોકલી દેવામાં આવી છે.

Advertisement

 

Advertisement
Tags :
Advertisement