સુરતમાં બેરોજગાર બનેલા રત્નકલાકારોને ટેક્સટાઈલ ઉદ્યોગમાં રોજગારીની તક
- સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં બે લાખ કામદારોની અછત
- કોઈ તાલીમ વિના રત્ન કલાકારો મહિને 30 હજાર સુધી પગાર મેળવી શકે છે
- ટેક્સટાઈલ ઉદ્યોગમાં તેજીનો લાભ રત્ન કલાકારો ઉઠાવી શકે છે
સુરતઃ હીરા ઉદ્યોગમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી મંદીનો દૌર ચાલી રહ્યો છે. જેમાં છેલ્લા એક વર્ષથી વ્યાપક મંદીને કારણે રત્ન કલાકારોની હાલત કફોડી બની છે. અનેક રત્ન કલાકારો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. અને તેમના માટે પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. બીજીબાજુ સુરત શહેરના ટેક્સટાઈલ ઉદ્યોગમાં તેજીનો દૌર ચાલી રહ્યો છે. અને હાલ ટેક્સટાઈલ ઉદ્યોગ બે લાખ કામદારોની અછતનો સામનો કરી રહ્યો છે. ત્યારે રત્ન કલાકારોને ટેક્સટાઈલ ક્ષેત્રમાં રોજગારી આપવામાં આવે તો તેમને રોજગારી મળવાની સોનેરી તક ઊભી થઈ છે.
સુરત શહેરમાં ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ સૌથી મોટા ઉદ્યોગ છે. બન્ને ઉદ્યોગોમાં લાખોની સંખ્યામાં કામદારો રોજગારી મેળવી રહ્યા છે. જોકે હીરા ઉદ્યોગમાં વ્યાપક મંદીને કારણે રત્ન કલાકારો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. શહેરમાં અંદાજિત 50 હજાર રત્ન કલાકારો બેકાર બન્યા છે. તો સામે ટેક્સટાઇલ ઉદ્યોગમાં 2 લાખ કામદારોની ઘટ છે. જો આ સ્થિતિમાં રત્ન કલાકારો ટેક્સટાઇલ ઉદ્યોગ તરફ વળે તો રત્ન કલાકારોને રોજગાર અને ટેક્સટાઇલ ઉદ્યોગને પણ થોડી રાહત મળે તેમ છે. તથા હીરા ઘસીને મહિને માત્ર 15થી 20 હજાર આવક ઊભી કરતા રત્ન કલાકારો ટેક્સટાઇલમાં મહિને 30 હજાર સુધી કમાઈ શકે છે. એવુ ટેક્સટાઈલ સાથે જોડાયેલા ઉદ્યોગકારોનું માનવું છે.
સૂત્રોના કહેવા મુજબ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે 10થી 12 લાખ લોકો કામ કરી રહ્યા છે. જેના કારણે સતત સુરત શહેરમાં રોજગારીની તકો ઉપલબ્ધ થતી રહે છે તેવી જ રીતે હીરા ઉદ્યોગમાં પણ અંદાજે 8થી 10 લાખ લોકો કામ કરે છે. આ બંને ઉદ્યોગો સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અનેક લોકો આજીવિકા મેળવી રહ્યા છે. જે પણ ઉદ્યોગ હોય તેમાં તેજી મંદીની અસર સમયાંતરે જોવા મળતી હોય છે. હાલ હીરા ઉદ્યોગમાં મંદીની સ્થિતિ હોવાને કારણે કારખાનાંમાં કામદારોને કામ ઓછું મળી રહ્યું છે. બીજી તરફ ટેક્સટાઇલ ઉદ્યોગના લૂમ્સ, જોબ વર્ક, એમ્બ્રોઇડરી, ડાઇન પ્રોસેસિંગ મિલો વગેરેમાં છેલ્લા ઘણા સમયથી કામદારોની ઘટ ચાલી રહી છે. કામદારો ન મળતા હોવાને કારણે લસકાણા વિસ્તાર તરફ આવેલા ડાયમંડ નગર કે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં લુમ્સનાં કારખાનાં ધમધમતાં હતાં તે ધીમે-ધીમે બંધ થઈ રહ્યાં છે. આવી સ્થિતિ અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે. હાલમાં મંદીના કારણે હીરા ઉદ્યોગમાં જે માસિક વેતન રત્નકલાકારોને મળી રહ્યું છે. તેના કરતાં પણ વધુ વેતન ટેક્સટાઇલ ઉદ્યોગમાં મળી શકે તેવી સ્થિતિ છે. જે રત્ન કલાકારો હીરા ઘસીને મહિને માત્ર 15થી 20 હજાર જેટલી આવક ઊભી કરી રહ્યા છે તેમના માટે આ નવો વિકલ્પ વિચારી શકાય તેમ છે.