અસહ્ય ગરમીને લીધે શિક્ષણ વિભાગે શાળાઓ માટે ગાઈડલાઈન જાહેર કરી
- હીટવેવથી ડરવાની નહિ પણ, નાગરીકોમાં જાગૃતિ જરૂરીઃશિક્ષણ રાજ્યમંત્રી
- શાળાઓ પોતાની રીતે સમયમાં ફેરફાર કરી શકશે
- ગરમીમાં શાળાના મેદાનમાં ખેલકૂદની પ્રવૃતિઓ કરી શકાશે નહિ
અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળો વધુ આકરો બનતો જાય છે. ત્યારે હીટવેવ સંદર્ભે માહિતી આપતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું કે, રાજ્યના બાળકોનો હિત રાજ્ય સરકાર માટે સર્વોપરી છે, પ્રાથમિક શાળાના બાળકો સાયલન્ટ ડિઝાસ્ટર “હીટવેવ”નો શિકાર ન થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં “હીટવેવ” સંદર્ભે પ્રાથમિક વિભાગની શાળાઓ માટે એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
વધુમાં મંત્રીએ જણાવ્યું કે, ગુજરાતના તમામ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારી ગરમીનું પ્રમાણ જોઇને શાળાના સમયમાં ફેરફાર કરી શકશે, તેમને રાજ્ય સરકાર પાસે કોઈ પણ પ્રકાર મંજૂરી મેળવવાની રહેશે નહિ. શાળામાં વિધાર્થીઓ પ્રાર્થના બાદ ઉનાળાના સમયગાળા દરમિયાન મેદાનમાં ખેલકૂદની પ્રવૃતિઓ કરી શકશે નહિ. ઉનાળાની ગરમીમાં શિક્ષકોએ વિધાર્થીઓ સમયસર પાણી પીવે તે તેમને યાદ કરાવવાનું રહેશે. રાજ્યના નાગરીકોએ હીટવેવથી ડરવાની નહિ પણ, જાગૃતિ સાથે પોતાના બાળકની કાળજી રાખવાની જરૂર છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
રાજ્યમાં હવામાન વિભાગે તપમાનમાં વધારો થવાની આગાહી કરી છે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈને ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને હીટવેવ અંગે સમજણ આપવી, ઓપન એર વર્ગ બંધ કરવા અને ગરમીમાં સ્કૂલના સમયમાં ફેરફાર કરવા જણાવ્યું છે. રાજ્યની તમામ સ્કૂલોમાં આ ગાઇડલાઇનનું પાલન કરાવવાનું રહેશે.
પ્રાથમિક શિક્ષણ વિભાગના શિક્ષણ નિયામકે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીને પત્ર લખીને જણાવ્યું છે કે, રાજ્યમાં ગુજરાત એક્શન પ્લાન 2025 મુજબ હીટવેવને સાઇલન્ટ ડિઝાસ્ટર તરીકે ગણવામાં આવશે. જેના તકેદારીના ભાગરૂપે તમામ સ્કૂલોમાં શિક્ષકોની મદદથી બાળકોને હીટવેવ અને તેની અસરો અને તેનાથી બચવાના વિશે સમજણ આપવી. ઉનાળા દરમિયાન કોઈ પણ ઓપન એર વર્ગો હાથ ધરવાના રહેશે નહીં .ગરમીની સિઝનમાં સ્કૂલો સમયમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરી શકશે. તમામ નિયમોનું તમામ સ્કૂલોએ પાલન કરવાનું રહેશે.