અમદાવાદમાં બુટલેગરોના ગેરકાયદે મકાનો તોડવાની કામગીરીનો પ્રારંભ
- જુહાપુરાના કુખ્યાત કાલુ ગરદનનાં ગેરકાયદે 4 મકાન, 1 દુકાન તોડાયાં
- સરખેજમાં પાંચ પાંચ બુટલેગરોના મકાનો તોડી પડાયા
- સરદારનગરમાં બુલેગરનું અને દરિયાપુર જીમખાનામાં ગેરકાયદે દબાણો દુર કરાયા
અમદાવાદઃ શહેરના વસ્ત્રાલમાં હોળીની રાત્રે લુખ્ખાઓએ મચાવેલા આતંક બાદ રાજ્ય સરકાર સફાળી જાગી હતી અને રાજ્યના પોલીસ વડાએ તમામ જિલ્લા એસપી અને પોલીસ કમિશનરોને 100 કલાકનુ અલ્ટિમેટમ આપી ગુનેગારોની યાદી તૈયાર કરવા આદેશ કર્યો હતો. 100 કલાક પૂરા થતા જ 'ગેંગ્સ ઓફ ગુજરાત'ની યાદી સામે આવી ચૂકી છે. ગુજરાત પોલીસે ચાર મહાનગરો સહિત અલગ અલગ જિલ્લાના 7612 ગુનેગારોની કરમકુંડળી તૈયાર કરી કેડ ભાંગી નાખવાની કામગીરી શરૂ કરી દીધી છે. જેમાં અમદાવાદમાં બુટલેગરો અને આસામાજિક પ્રવૃતી સાથે સંકળાયેલા તત્વોના ગેરકાયદે મકાનો તોડવાનો પ્રાંરભ કરાતા માથાભારે તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
અમદાવાદ મ્યનિ.કોર્પોરેશન દ્વારા આજે પોલીસની મદદ લઈને સરખેજ વિસ્તારમાં બુટલેગરોના 5 મકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરી હતી. તેમજ જુહાપુરાના કુખ્યાત કાલુ ગરદનનાં ગેરકાયદે 4 મકાન, 1 દુકાન તોડી પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત સરદારનગરમાં બુટલેગરનું તથા દરિયાપુરમાં જીમખાના કલબના ત્રીજા માળનો શેડ તોડી પાડવામાં આવ્યો હતો.
શહેરમા જુહાપુરામાં દારૂ, જુગાર, મારા મારી, ધમકી, ખંડણી, ખૂનની કોશિશ સહિતના 36 ગુના આચરનાર કુખ્યાત ગેંગસ્ટર કાલુ ગરદને વેજલપુર એકતા મેદાન ખાતે ગેરકાયદે બનાવેલાં ચાર મકાન અને એક દુકાન તોડી પાડવામાં આવ્યાં હતાં. વેજલપુર પોલીસ અને મ્યુનિ.ની ટીમે સાથે કાલુ ગરદને કરેલા ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યાં હતાં. તેમજ સરખેજમાં લિસ્ટેડ બુટલેગર બાબુ રાઠોડનું ગેરકાયદે બાંધકામ તોડી પાવામાં આવ્યું હતુ. આ ડિમોલિશન પોલીસની હાજરીમાં કરાયું હતું., બાબુ રાઠોડ સામે ડ્રગ્સ, મારામારી સહિત 23 ગુનાઓ નોંધાયેલા છે. તેમજ સરખેજમાં પાંચ બુટલેગરોના ગેરકાયદેસર મકાનો તોડવામાં આવ્યા છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડીમોલેશનની કામગીરી કરવામાં આવી હતી.
શહેરના સરદારનગર વિસ્તારમાં પણ લિસ્ટેડ બુટલેગરની બેનામી મિલકત તોડી પાડવામાં આવી છે. તેમજ દરિયાપુરમાં મનપસંદ જિમખાના ક્લબમાં ત્રીજા માળે શેડ બનાવીને આખો રૂમ ઊભો કરવામાં આવ્યો હતો. વર્ષ 2019માં મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગે ગોવિંદ કે પટેલના નામે મનપસંદ જિમખાના પ્રાઇવેટ લિમિટેડ નામની મિલકતમાં ગેરકાયદે શેડ ઊભો કરવા મામલે નોટિસ આપી હતી. પરંતુ ત્યારે તોડવા માટે પોલીસ બંદોબસ્ત ના આપવામાં આવતા બાંધકામ તોડવામાં આવ્યું નહોતું. હવે એસીપી કક્ષાના અધિકારી અને બે પીઆઈ સાથેનો પોલીસ બંદોબસ્ત ફાળવી બાંધકામ તોડવામાં આવ્યું છે.