રાસાયણિક ખાતર અંગેની ફરિયાદ-રજૂઆત માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા
- રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ માટે079-23256080 હેલ્પલાઈન નંબર જાહેર,
- ખેડૂતો હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરીને ખાતર વિતરણ સંદર્ભે રજૂઆત કરી શકશે,
- ખેડૂતોની રજુઆત બાદ ત્વરિત પગલાં ભરાશે
ગાંધીનગરઃ રાજ્યમાં ખાતર ઉપલબ્ધિ તેમજ વિતરણ સંદર્ભે સરળતા રહે અને ખેડૂત સંબંધી રજૂઆત તથા મુશ્કેલી ધ્યાને આવે તે અને તેના ત્વરિત નિરાકરણ માટે ખેતી નિયામકની કચેરી દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે.
ખેતી નિયામક કચેરીની દ્વારા રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં રાજ્ય કક્ષાએ ફરિયાદ માટે રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ દ્વારા 079-23256080 હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ પણ ખાતર સંદર્ભે રજૂઆત, ઉપલબ્ધિ અને માહિતી માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યના ખેડૂતો આ સાથે આપેલી યાદીમાં જણાવ્યા મુજબના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરીને ખાતરની ઉપલબ્ધતા, વિતરણ કે અન્ય બાબતો અંગે રજૂઆત કરી શકશે. આ હેલ્પલાઈન નંબર સવારે 8.૦૦ થી રાત્રે 8.૦૦ કલાક સુધી કાર્યરત રહેશે, તેમ ખેતી નિયામક કચેરીની યાદીમાં જણાવાયું છે.
દરમિયાન કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં ખાતર વિતરણ અંગે જણાવ્યું હતું કે, આ વર્ષે સારા વરસાદના પરિણામે ખરીફ પાકોના 61 ટકા જેટલુ વાવેતર સમય કરતા વહેલા પૂર્ણ થયું છે. ખેડૂતોને વ્યાજબી ભાવે યુરીયા, ડી.એ.પી તથા એન.પી.કે ખાતરનો પૂરતો જથ્થો મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા તેના પર માતબર રકમની સબસીડી આપીને સમયાંતરે ખાતરનો જથ્થો ફાળવવામાં આવી રહ્યો છે. ખેતી માટે જરૂરિયાત મુજબ ખેડૂતોને સમયસર અને પૂરતું ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સપ્લાય પ્લાન મુજબ ખાતરનો જથ્થો વિવિધ જિલ્લામાં વિતરણ કરવામાં આવી રહ્યો છે.
રાજ્યમાં જિલ્લાવાર અને તાલુકાવાર ફાળવવામાં આવતા ખાતરના જથ્થાની વિતરણ વ્યવસ્થાની રાજ્ય કક્ષાએથી કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહિતના રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી ખેડૂતોને જરૂરિયાત મુજબનો ખાતરનો જથ્થો સરળતાથી ઉપલબ્ધ થઇ શકે.
કૃષિ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ખાતરની રાજ્યમાં ક્યાંય સંગ્રહખોરી ન થાય, કાળા બજારી ન થાય, વધુ ભાવે વેચાણ ન થાય તેમજ સપ્લાય પ્લાન મુજબ દરેક જિલ્લા-તાલુકાને પૂરતું ખાતર મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. ખાતર વિતરણ સંદર્ભે ખેડૂતોની ફરિયાદ– રજૂઆત માહીતી માટે રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા અધિક કલેકટર કક્ષાના વિશેષ અધિકારીની નિમણૂંક પણ કરવામાં આવી છે.