ગુજરાતમાં ધોરણ 3થી 8ની પરીક્ષાનો 7મી એપ્રિલથી પ્રારંભ થશે
- સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં દ્વિતીય સત્રાંત પરીક્ષા 7 એપ્રિલથી શરૂ થશે
- ધોરણ 3થી 8ની પરીક્ષા 25મી એપ્રિલ સુધીમાં પૂર્ણ થશે
- ધોરણ 3 અને ધોરણ 4ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં ઉત્તરો લખવાના રહેશે
ગાંધીનગરઃ ગુજરાતમાં હાલ સીબીએસઈ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ચાલી રહી છે, જ્યારે ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો તા. 27 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. ત્યારે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા ધોરણ 3થી ધોરણ 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. રાજ્યભરની તમામ માધ્યમની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓની દ્વિતીય સત્રાંત પરીક્ષા 7 એપ્રિલથી શરૂ થશે અને 25 એપ્રિલ સુધી પૂર્ણ થઈ જશે. આમ હવે શાળા કોલેજોમાં પરીક્ષાની મોસમ શરૂ થશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. જ્યારે ધોરણ 3થી 8માં અભ્યાસ કરતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. ધોરણ 3થી 8ની પરીક્ષા 7 એપ્રિલથી શરૂ થશે અને 25 એપ્રિલ સુધી સમાપ્ત થશે. આ માટે વિગતવાર કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે.
રાજ્યની તમામ શાળાઓ માટે જાહેર કરવામાં આવેલા નિયમો પ્રમાણે ધોરણ 3 અને ધોરણ 4ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં ઉત્તરો લખવાના રહેશે. જ્યારે ધોરણ 5થી 8ના વિદ્યાર્થીઓને અલગથી ઉત્તરવહી આપવામાં આવશે જેમાં જવાબો લખવાના રહેશે. સત્રાંત પરીક્ષા અંતર્ગત ઉત્તરવહીઓની ચકાસણી શાળા કક્ષાએ જ કરવામાં આવશે