નવા બંદરના દરિયામાં 4 નોટિકલ માઈલ દૂર બોટ ડૂબી, ટંડેલ સહિત 9 ખલાસીઓનો બચાવ
- ટેક્નિકલ ખામીના કારણે બોટના પંખાનું સ્ટેન્ડ તૂટી જતાં આ દુર્ઘટના સર્જાઈ,
- બોટમાં ઝડપથી પાણી ભરાવા લાગ્યું અને જોતજોતામાં ડૂબી ગઈ,
- પાંચ બોટોની મદદથી ડૂબેલી બોટને દરિયાકાંઠે લાવવાના પ્રયાસો કરાયા
ઊનાઃ નવાબંદરના દરિયામાં 4 નોટિકલ માઈલ દૂર માછીમારી કરી રહેલી એક બોટ ડૂબી જતા નજીકમાં માછીમારી કરી રહેલી અન્ય બોટોની સમયસર મદદથી બોટ પર સવાર ટંડેલ સહિત 9 ખલાસીઓને બચાલી લેવાયા હતા. ટેક્નિકલ ખામીના કારણે બોટના પંખાનું સ્ટેન્ડ તૂટી જતાં આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની વિગત એવીછે કે, ઊના નજીક આવેલા નવાબંદરના ભાણાભાઈ કરશનભાઈની માલિકીની બોટ ત્રણ દિવસ પહેલાં માછીમારી માટે દરિયામાં ગઈ હતી. બોટમાં ટંડેલ જીલુભાઈ સહિત કુલ નવ ખલાસીઓ સવાર હતા. વહેલી સવારે જ્યારે બોટ કિનારાથી લગભગ 4 નોટિકલ માઈલ (અંદાજે 35 કિલોમીટર) દૂર માછીમારી કરી રહી હતી, તે સમયે અચાનક બોટના એન્જિનના પંખાનું સ્ટેન્ડ તૂટી ગયું હતું. આ ખામીને કારણે બોટમાં ઝડપથી પાણી ભરાવા લાગ્યું અને જોતજોતામાં તે ડૂબવા લાગી હતી. બોટ ડૂબી રહી હોવાનું જણાતાં ટંડેલ જીલુભાઈ અને ખલાસીઓએ મદદ માટે બૂમો પાડી હતી. આથી તેમની જ કંપનીની અન્ય પાંચ બોટો નજીકમાં જ માછીમારી કરી રહી હતી. આ અન્ય બોટોના ટંડેલોએ તાત્કાલિક પોતાની બોટ નજીક દોડાવી અને ડૂબી રહેલી બોટમાંથી ટંડેલ સહિત તમામ નવ ખલાસીઓને ખેંચીને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા.
આ આકસ્મિક ઘટનાની જાણ વાયરલેસ મેસેજ દ્વારા બોટ માલિક ભાણાભાઈ કરશનભાઈને કરવામાં આવી હતી, જેના પગલે તેમના પુત્રો તુરંત દરિયામાં રવાના થયા હતા. પાંચ બોટોની મદદથી ડૂબેલી બોટને દરિયાકાંઠે લાવવાના પ્રયાસો શરૂ કરાયા હતા. આ દરમિયાન બોટ દરિયાની અંદર 'ભાથોડા' વચ્ચે ફસાઈ ગઈ હતી, પરંતુ ભારે જહેમત બાદ તેને ખેંચીને બહાર કાઢવામાં આવી હતી અને સલામત રીતે કિનારે લાવવામાં સફળતા મળી હતી. ક્ષતિગ્રસ્ત બોટને હાલ કાંઠે લાવવામાં આવી હતી.
બોટ માલિક ભાણાભાઈ કરશનભાઈએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પહેલાં વરસાદ બંધ થતાં ટોકન મેળવીને બોટ માછીમારી માટે મોકલી હતી. ટેક્નિકલ ખામીને કારણે આ દુર્ઘટના બની હતી, પરંતુ કુદરતી રીતે તેમની અન્ય બોટો બાજુમાં જ હોવાથી તાત્કાલિક બચાવ કામગીરી શક્ય બની હતી.