પીટીસીના બીજા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ પણ હવે ટેટ-1ની પરીક્ષા આપી શકશે
- સરકારના નિર્ણયથી 5200 જેટલા વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે,
- 18મી નવેમ્બર સુધી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે,
- પીટીસીના વિદ્યાર્થીઓને કારકિર્દી વહેલી તકે શરૂ કરવાની તક મળશે.
અમદાવાદઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘણીબધી જગ્યાઓ ખાલી છે. અને રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે શિક્ષકોની ભરતી કરવામાં આવતી હોય છે. પ્રાથમિક શિક્ષકોની ભરતીમાં ટેટ-1 પરીક્ષા પાસ કરેલી હોવી જાઈએ. આ પરીક્ષામાં પીટીસી થયેલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ અને વિદ્યાર્થીઓને રાહત આપતો નિર્ણય કર્યો છે. હવે PTCના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ TET-1 (Teacher Eligibility Test) પરીક્ષા આપવા માટે મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધી માત્ર PTC પાસ કરેલા ઉમેદવારોને જ આ પરીક્ષા આપવા પાત્રતા હતી, પરંતુ હવે આ નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
વિભાગના આ નિર્ણયથી રાજ્યભરના આશરે 5200 જેટલા વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે. સાથે જ, TET-1 પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 નવેમ્બરથી વધારીને 18 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે, જેથી વધુ ઉમેદવારોને અરજી કરવાની તક મળી શકે.
શિક્ષણ વિભાગના સૂત્રોના કહેવા મુજબ, ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોની ભરતી ટેટ-1ના મેરીટના આધારે કરવામાં આવે છે. અને ટેટ-1 માટે પીટીસીની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. ત્યારે લાંબા સમયથી પીટીસીના વિદ્યાર્થીઓ સતત માંગ કરી રહ્યા હતા કે તેઓને અભ્યાસ દરમિયાન જ TET-1 આપવા મંજૂરી આપવામાં આવે. આ રજૂઆતોને ગંભીરતાથી લઈ સરકારે નિર્ણય કર્યો છે કે પીટીસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો હવે શિક્ષક યોગ્યતા કસોટી-1 (TET-1) માટે અરજી કરી શકશે. જૂના નિયમો મુજબ ઉમેદવારને પીટીસી કોર્સ પૂર્ણ કર્યા પછી જ TET-1 માટે પાત્ર ગણાતા હતા, જેના કારણે ભરતી પ્રક્રિયામાં જોડાવા માટે લાંબો સમય રાહ જોવી પડતી. નવા નિયમ બાદ વિદ્યાર્થીઓ અભ્યાસ દરમિયાન જ પરીક્ષા આપી શકશે, જેનાથી તેઓનો કિંમતી સમય બચશે અને કારકિર્દી વહેલી તકે શરૂ કરવાની તક મળશે.
TET-1 માટે ફોર્મ ભરવાની તારીખ વધારવાની જાહેરાત પણ વિદ્યાર્થીઓ માટે મોટી રાહત સમાન છે. અગાઉની અંતિમ તારીખ 12 નવેમ્બર હતી, જેને હવે 18 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. શિક્ષણ વિભાગના આ નિર્ણયથી અનેક વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાની તક મળશે, જેઓ સમયસર અરજી ન કરી શક્યા હતા.