દૂર્ઘટનાગ્રસ્ત પ્લેનનું બ્લેક બોક્સ મળ્યું, દૂર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવામાં મદદ મળશે
અમદાવાદઃ અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ દૂર્ઘટનાગ્રસ્ત થતા 241 જેટલા પ્રવાસીઓના મોત થયાં છે. ફ્લાઈટનો કેટલોક ભાગ સિવિલ હોસ્પિટલ સંકુલમાં પાછળના ભાગે આવેલી ઈમારત સાથે અથડાયો હતો. હાલ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. તેમજ તપાસ દરમિયાન પ્લેનનું એક બ્લેક બોક્સ મળી આવ્યું છે. જેની તપાસમાં દૂર્ઘટનાનું ચોક્કસ કારણ બહાર આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર દૂર્ઘટનાને પગલે વિવિધ સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા. તેમજ બચાવ કામગીરી હાથ ધરીને ઈજાગ્રસ્તો અને મૃતદેહો હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા. તેમજ વિમાનના કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. દરમિયાન દૂર્ઘટનાગ્રસ્ત પ્લેનનું એક બ્લેક બોક્સ મળી આવ્યું છે. તેમજ બીજા બ્લેક બોક્સની શોધ ચાલુ છે. આ બ્લેક બોક્સથી ખબર પડશે કે ટેકઓફ પછી તરત જ આટલો મોટો અકસ્માત કેવી રીતે થયો. અમદાવાદમાં ક્રેશ થયેલી ફ્લાઇટનો ડેટા રેકોર્ડર અને કોકપીટ વોઇસ રેકોર્ડર બંને મળી ગયા છે. ટૂંક સમયમાં એર ઇન્ડિયા વિમાન ક્રેશનું કારણ પણ બહાર આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ એરપોર્ટથી લંડનની ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ પ્લેન દૂર્ઘટનાગ્રસ્ત થયું હતું. તેમજ પ્લેનનો કેટલોક ભાગ સિવિલ હોસ્પિટલની પાછળ આવેલી ઈમારત સાથે અથડાયો હતો. આ ઈમારતમાં કેટલાક તબીબો હાજર હતા. દૂર્ઘટનામાં તબીબો પણ ઈજાગ્રસ્ત થયાં છે. જ્યારે પ્લેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓ પૈકી માત્ર એક જ વ્યક્તિનો ચમત્કારીક બચાવ થયો છે.