તિલકવાડામાં લગ્નમાં નાચવા બાબતે ભાજપના નેતાઓ બાખડી પડ્યા, 10ને ઈજા
- જિલ્લા પંચાયતના પ્રમુખનું ગૃપ અને આદિજાતિ મોરચાના પદાધિકારીઓ વચ્ચે મારામારી,
- બન્ને પક્ષે સામસામી પોલીસમાં ફરિયાદો થઈ,
- ભાજપના પ્રદેશ નેતાઓએ સમાધાન કરાવવા કવાયત હાથ ધરી
તિલકવાડાઃ નર્મદા જિલ્લાના તિલકવાડાના ભાવપુરા ટેકરા ગામે એક લગ્નમાં નાચવા બાબતે ભાજપના નેતાઓ બાખડી પડ્યા હતા. અને બન્ને જુથ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ, તેમનો પુત્ર, ભાજપ આદિજાતિ મોરચાના મહામંત્રી સહિત 10 જેટલા લોકોને ઇજા પહોંચી હતી. પ્રાથમિક માહિતી મુજબ કોઈ જૂના ઝઘડાની અદાવતમાં ભાજપના હોદેદારો વચ્ચે મારમારી થઈ હોવાનું કહેવાય છે. આ ઘટનામાં બન્ને પક્ષે ભાજપના નેતાઓ હોવાથી હોળી તહેવાર પહેલા જ રાજકીય રંગ પકડાયો છે. ભાજપના બન્ને જુથ વચ્ચે સામસામી ફરિયાદો નોંધવામાં આવી છે. જેથી ભાજપના મોટા નેતાઓ ફરિયાદો પાછી ખેંચીને સમાધાન કરાવવા દોડધામ કરી રહ્યા છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ભાવપુરા ટેકરા ગામે ખોડીદાસ તડવીના ઘરે લગ્ન પ્રસંગ હતો. લગ્નમાં DJમાં નાચવાનો કાર્યક્રમ દરમિયાન અચાનક ધક્કામુકી અને મારમારી થવા લાગી હતી. જોત જોતામાં મારમારી ઉગ્ર બની હતી અને ભાજપના જ હોદેદારો સામસામે મારમારી કરવા લાગ્યા હતા. જેમાંથી એક પક્ષે જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, તેમનો પુત્ર તેમના અન્ય સાથીઓ હતા. સામેપક્ષે પણ આદિજાતિ મોરચાના મહામંત્રી સહિત તેમના સાથીઓ હતા. આ મારામારીની ઘટનામાં કુલ 10 જેટલા લોકોને ઇજાઓ પહોંચી હતી. જેઓને સારવાર માટે તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવીને માથામાં કડું વાગતા લોહી વહેવા લાગ્યું હતું. જે લોહી બંધ ના થતા તેઓને વડોદરા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.
ભાજપના આદિજાતિ મોરચાના મહામંત્રી અરુણ તડવીએ જણાવ્યું હતું કે, ભાવપુર ટેકરા ખાતે લગ્નમાં અમને આમંત્રણ હોવાથી અમે પરિવાર સાથે લગ્નમાં ગયા હતા. ડીજેના નાચગાનમાં અચાનક ત્યાંના લોકોએ પહેલા અંદરો અંદર ઝઘડો થયો હતો. ત્યારબાદ જિલ્લા પંચાયત પ્રમુખે પોતાના હોદ્દાનો દુરપયોગ કરી, તેમના બે દિકરાઓએ, તેમના સરપંચ ભાઈ અને ત્યાંના લોકલ ગામના જ બે-ત્રણ ઈસમો સાથે મળીને નશાની હાલતમાં અમારા સાથીઓને માર માર્યો હતો. મારે અને ભીમસિંહ તડવી વચ્ચે કોઈ વિરોધ નથી, તેઓ અમારા સમાજના જ છે અને લાગણીશીલ છે, પરંતુ તેમને મારા પ્રત્યે શુ ઈર્ષા છે એની મને જાણ નથી. અમારા પક્ષે 4થી 5 લોકોને ઈજાઓ પહોંચી છે. જેઓ હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે હોસ્પિટલમાં દાખલ નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવીએ જણાવ્યું કે, અમે બધા લગ્નમાં હતા અને અચાનક કેટલાક ઈસમોએ અમારા લોકો પર હુમલો કર્યો એટલે અમે બચાવવા પડ્યા અમને બધાને વાગ્યું છે. મને માથામાં કળુ વાગતા લોહી બંધ નથી થતું એટલે વડોદરા ખાતે સારવાર માટે દાખલ છું. આ મામલે પોલીસેમાં ફરિયાદ કરી છે. આ સમગ્ર ઘટનામાં ભાજપના બંને પક્ષના નેતાઓ હોવાથી હોળી તહેવાર પહેલા જ રાજકીય રંગ પકડાયો છે. જેથી ભાજપના મોટા નેતાઓ આ ફરિયાદો પાછી લઈ સમાધાન કરાવવા દોડધામ કરી રહ્યા છે.