ભાદરવી પૂનમનો મેળો: અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર
શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાવા જઈ રહ્યો છે. લાખો પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે, મંદિર ટ્રસ્ટ દ્વારા મેળાના સાત દિવસ માટે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર અને વધારો કરવામાં આવ્યો છે. જોકે, આ વખતે ભાદરવી પૂનમ (15 સપ્ટેમ્બર)ના દિવસે ચંદ્રગ્રહણ હોવાને કારણે દર્શનના સમયમાં ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે. પદયાત્રીઓની ભીડને ધ્યાનમાં રાખીને, શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન કરી શકે તે માટે મંદિર સવારથી મોડી રાત સુધી ખુલ્લું રહેશે.
સમયગાળો સમય
સવારે આરતી 06.00 થી 06.30
સવારે દર્શન 06.30 થી 11.30
બપોરે દર્શન 12.30 થી સાંજે 05.00
સાંજે આરતી 07.00 થી 07.30
રાત્રે દર્શન 07.30 થી મોડી રાત્રે 12.00
ચંદ્રગ્રહણને કારણે ભાદરવી પૂનમ (15 સપ્ટેમ્બર) ના દિવસે ખાસ ફેરફાર
આ વર્ષે ભાદરવી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિરના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજભોગ બાદ મંદિર બંધ: પૂનમના દિવસે બપોરે 12.30 કલાકે માતાજીને રાજભોગ ધરાવ્યા બાદ મંદિરના પટ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. ધ્વજા નહિ ચઢાવાય: બપોરે 12.30 વાગ્યા પછી મંદિરના શિખર પર ધ્વજા પણ ચઢાવી શકાશે નહીં.
જાળીમાંથી દર્શન: બપોરે 12.30 થી સાંજે 05.00 કલાક સુધી શ્રદ્ધાળુઓ માત્ર જાળીમાંથી જ દર્શન કરી શકશે.
સંપૂર્ણ બંધ: સાંજે 05.00 વાગ્યા પછી મંદિર દર્શનાર્થીઓ માટે સંપૂર્ણપણે બંધ રહેશે.
અધિક કલેક્ટર અને મંદિર ટ્રસ્ટના કૌશિક મોદીએ જણાવ્યું કે, ચંદ્રગ્રહણ પૂર્ણ થયા બાદ બીજા દિવસે સવારે 8.00 કલાકે મંગળા આરતી કરવામાં આવશે. આ ખાસ ફેરફારોનું પાલન કરીને દર્શનાર્થીઓને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.