ગાંધીનગર જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં આજથી આયુષ્યમાન મેળા યોજાશે
- મેડીસીન, સ્ત્રીરોગ, બાળરોગ, જનરલ સર્જરી સહિતના તબીબો હાજર રહેશે
- જિલ્લાના 9 સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં આજથી 29 મે સુધી આરોગ્ય મેળાનું આયોજન,
- ગામડાંઓમાં લોકોને ઘર આંગણે તબીબી સારવાર મળી રહેશે
ગાંધીનગરઃ જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં આજથી આયુષ્યમેળાનો પ્રારંભ કરાયો છે. તા. 29મી મે સુધી ચાલનારા આયુષ્યમેળામાં ગ્રામીણ લોકોને નિદાન અને સારવારનો લાભ મળી શકશે. સામુહિક આરોગ્ય કેન્દ્રો પર મેડિકલ કોલેજના મેડિસીન, સ્ત્રીરોગ, બાળરોગ, ચામડી, જનરલ સર્જરી, ઇએનટી, આંખ, મનોરોગ, ડેન્ટલ સહિતના તજજ્ઞ તબિબો સેવા આપશે.
ગાંધીનગર જિલ્લાના અલગ અલગ આઠ સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં તારીખ 3જી, એપ્રિલથી 29મી, મે-2025 સુધી આયુષ્યમાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાંત તબિબો નિદાન અને સારવાર કરશે. ગ્રામ્ય વિસ્તારના લોકોને આરોગ્ય લક્ષી સેવાનો લાભ તેમના આંગણે મળી રહે તે માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે આયુષ્યમાન મેળાનો કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં દહેગામમાં આજે આયુષ્ય મેળાનું આયોજન કરાયુ છે. જ્યારે રખિયાલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 11મી, એપ્રિલ-2025, અડાલજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 17મી, એપ્રિલ, છાલા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 24મી, એપ્રિલ, સાદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 1લી, મે, ડીંગુચા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 8મી, મે-2025, કલોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 15મી, મે, નારદીપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 22મી, મે-2025 અને છત્રાલ સામુહિક આરોગ્ય કેન્દ્ર 29મી, મેના રોજ યોજાશે.
આયુષ્યમાન મેળામાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલના મેડીસીન વિભાગ, સ્ત્રીરોગ, બાળરોગ, જનલર સર્જરી, ઇએનટી, આંખ, મનોરોગ, ચામડીના રોગના નિષ્ણાંત તબિબો મેળામાં ઉપસ્થિત રહીને ગ્રામજનોનું નિદાન અને સારવાર કરશે. આયુષ્યમાન મેળામાં ચામડીના રોગોના, એનેસ્થેટીસ્ટ, ડેન્ટલ સહિતના નિષ્ણાંત તબિબો ઉપસ્થિત રહિને દર્દીઓની બિમારીઓની નિદાન અને સારવાર કરશે. જો કોઇ લાભાર્થીઓમાં બિમારીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વધુ અને સઘન સારવાર તેમજ નિદાન માટે ગાંધીનગર હોસ્પિટલ ખાતે બોલાવવામાં આવશે. ગ્રામ્યના નાગરિકો આરોગ્યને લગતી સમસ્યાથી છુટકારો મળે તે માટે આયોજન કરાયું છે.