અનિરૂદ્ધસિંહ જાડેજાએ ગોંડલની કોર્ટમાં સરેન્ડર કર્યુ, કોર્ટનો જુનાગઢની જેલમાં મોકલવા આદેશ
- કોર્ટના પરિસરમાં અનિરૂદ્ધસિંહના સમર્થકો ઉમટી પડ્યા,
- સુપ્રીમ કોર્ટે સ્ટે ઉઠાવી લેતા અનિરૂદ્ધસિંહે આત્મ સમર્પણ કર્યુ,
- અનિરૂદ્ધસિંહને લઈને પોલીસનો કાફલો જુનાગઢ જવા રવાના
રાજકોટઃ ગોંડલના ચકચારી પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલા રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાએ આજે ગોંડલ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતુ. સુપ્રીમ કોર્ટે એક દિવસ પહેલા આપેલા સ્ટેને આજે પરત ખેંચી લેતા અનિરૂદ્ધસિંહ જાડેજાએ આત્મસમર્પણ કરવાની ફરજ પડી હતી. અનિરૂદ્ધસિંહ આજે કોર્ટમાં હાજર થતાં કોર્ટ પરિસરમાં તેમના સમર્થકો ઉમટી પડ્યા હતા. પોલીસના સઘન બંદોબસ્ત સાથે અનિરૂદ્ધસિંહને જુનાગઢ જેલમાં લઈ જવામાં આવ્યા હતા.
ગોંડલ કોર્ટમાં પોપટ સોરઠિયા હત્યા કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ આજે સરેન્ડર કર્યુ હતુ. ગઈકાલે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી રાહત અપાયા બાદ હટાવી લેવાતા અનિરૂદ્ધસિંહ આજે ગોંડલની ત્રીજા એડિશનલ સિનિયર સિવિલ જજ આર. એસ. રાઠોડની કોર્ટમાં હાજર થયા હતા. જાડેજાના કોર્ટમાં હાજર થતાં જ મોટી સંખ્યામાં તેમના સમર્થકો કોર્ટ પરિસરમાં ઉમટી પડ્યા હતા, જેને પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ત્યારે ગોંડલની કોર્ટે અનિરૂદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલ મોકલવા આદેશ કર્યો હતો. દરમિયાન વધુ પોલીસ કાફલાને બોલાવાયો હતો. ત્યારબાદ પોલીસ અનિરૂદ્ધસિંહને લઈને જૂનાગઢ રવાના થઈ હતી.
પોપટ સોરઠિયા હત્યા કેસની વિગતો એવી હતી કે, વર્ષ 1988ની 15મી ઓગસ્ટના દિવસે ગોંડલમાં ધ્વજવંદનના કાર્યક્રમમાં તત્કાલિન કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં અનિરૂદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. અનિરૂદ્ધસિંહે કેટલાક વર્ષ જેલમાં સજા ભોગવ્યા બાદ સરકારે આપેલી સજા માફીના હુકમને ગુજરાત હાઈકોર્ટે ગેરકાયદે ઠરાવ્યો હતો અને તેમને ચાર સપ્તાહમાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. આ હુકમ સામે જાડેજાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેમાં તેમને શરૂઆતમાં થોડી રાહત મળી હતી, પરંતુ આખરે કોર્ટે આ સ્ટે પરત ખેંચી લેતા તેમને સજા ભોગવવા માટે આત્મસમર્પણ કરવું પડ્યું છે. આ ઘટનાએ ગોંડલ અને રાજકોટના રાજકારણમાં ફરી એકવાર ચર્ચા જગાવી છે.