વિરમગામ-માંડલ રોડ પર બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત, વૃદ્ધ દંપત્તીનું મોત
- જૈન પરિવાર શંખેશ્વરથી દર્શન કરીને પરત ફરતા અકસ્માતનો ભોગ બન્યો
- બાળકને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો
- ટીગોર કારમાં સવાર 3 પ્રવાસીને પણ ઈજા
અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતનો બનાવો વધતા જાય છે. જેમાં વિરમગામ માંડલ રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા વૃદ્ધ દંપત્તીનું મોત નિપજ્યું હતું. તેમજ એક બાળકને પણ ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યુ છે. જ્યારે સામેની કારમાં પણ ત્રણને ઈજાઓ થઈ હતી. આ અકસ્માતની જાણ થતાં પાટડી પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતનો ગુનોં નોઁધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, વિરમગામ-માંડલ રોડ પર કોટન જીન નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શંખેશ્વર તીર્થયાત્રાથી પરત ફરી રહેલા જૈન પરિવારની વેગોનર કાર અને ટાટા ટીગોર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વેગોનર કારમાં સવાર વૃદ્ધ દંપતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતુ. જ્યારે વેગોનરમાં સવાર એક નાના બાળકને હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા તેને વિરમગામની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. તેમજ ટીગોર કારમાં સવાર અન્ય ત્રણ વ્યક્તિઓને પણ ઈજાઓ થતાં તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
આ અકસ્માતના બનાવની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતો. અને પાટડી પોલીસ મથકની હદમાં બનેલી આ ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતક દંપતીના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે પાટડી ખસેડ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.